આ સમગ્ર પૂછપરછની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી
લાલુ પ્રસાદ યાદવ (તસવીર સૌજન્ય મિડ-ડે)
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : સીબીઆઇએ ગઈ કાલે જૉબના બદલામાં જમીનકૌભાંડના કેસમાં લગભગ પાંચ કલાક સુધી ભૂતપૂર્વ રેલવેપ્રધાન અને આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદની પૂછપરછ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવેમાં નોકરીઓ અપાવવાના બદલામાં લોકો પાસેથી મફતમાં કે પછી ખૂબ જ સસ્તા ભાવે જમીન મેળવવાના સંબંધમાં યાદવ પરિવાર અને એના સાથીઓની વિરુદ્ધ આ કેસ છે. સીબીઆઇના અધિકારીઓ ઇન્ડિયા ગેટ પાસે પંડારા પાર્કમાં મિસા ભારતીના ઘરે ગઈ કાલે સવારે ૧૦.૪૦ વાગ્યે આવ્યા હતા, જ્યાં લાલુ અત્યારે રહે છે. આ સમગ્ર પૂછપરછની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. બિહારના ભૂતપૂર્વ સીએમ સમક્ષ કેટલાક ડૉક્યુમેન્ટ્સ રજૂ કરીને સવાલો પૂછવામાં આવ્યા હતા. દરમ્યાન, લાલુની દીકરી રોહિણી આચાર્યે ગઈ કાલે તેમના બીમાર પિતાની ‘હૅરૅસમેન્ટ’ કરવા બદલ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.