૧૬ વૅક્સિન બનાવી છે અમે, બિન-અનુભવી નથી
ભારત બાયોટેકના ફાઉન્ડરર અને એમડી ક્રિષ્ણા એલા
ભારત બાયોટેકની રસી કોવૅક્સિનને ઇમર્જન્સી યુઝ ઑથોરાઇઝેશનનો કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ પૂરતો ડેટા પૂરો પાડ્યો નથી એવી વાત પણ કરવામાં આવી રહી છે. જેનો જવાબ આપતાં ભારત બાયોટેકના ફાઉન્ડરર અને એમડી ક્રિષ્ણા એલાએ એક વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું ‘આ એક વૅક્સિન છે, કોઈ બેક-અપ નથી. લોકોએ કંઈ પણ સ્ટેટમેન્ટ આપતાં પહેલાં વિચારવું જોઈએ. અમારી એક ગ્લોબલ કંપની છે, અમે ૧૬ વૅક્સિન બનાવી છે, બિન-અનુભવી નથી.’ કોવૅક્સિનનો ૨૦ લાખનો ડોઝ રસીકરણ માટે સરકારને આપી દેવાયો છે.
રસી ઉત્પાદક પાસે કોવૅક્સિનનો ડેટા ઉપલબ્ધ ન હોવાના આક્ષેપો ફગાવતાં ભારત બાયોટેકના ચૅરમૅન ક્રિષ્ના એલાએ જણાવ્યું હતું કે પૂરતો ડેટા પ્રસિદ્ધ કરી દેવાયો છે અને તે નેટ પર ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
અમે ચાર સુવિધાઓ વિકસાવી રહ્યા છીએ. અમે હૈદરાબાદમાં (વાર્ષિક) ૨૦૦ મિલ્યન ડોઝ તથા અન્ય શહેરોમાં ૫૦૦ મિલ્યન ડોઝ માટે યોજના કરી રહ્યા છીએ. ૨૦૨૧ સુધીમાં અમે ૭૦૦ મિલ્યન ડોઝની ક્ષમતા ધરાવીશું. હાલમાં અમારી પાસે ૨૦ મિલ્યન ડોઝ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે કોવૅક્સિનની અત્યારે ૨૪,૦૦૦ વૉલન્ટિયર્સ પર ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.
ભારતીય કંપનીઓને ઓછી આંકવામાં આવે છે, પણ તેમની કંપનીની કામગીરી કોરોનાની રસી તૈયાર કરનાર ફાઇઝરથી કમ નથી.