પ્રણવ મુખરજી સામે રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ કાનૂની જંગમાં પણ સંગમાની હાર
જોકે સુપ્રીમ ર્કોટની બેન્ચે બે વિરુદ્ધ ત્રણના બહુમતથી ગઈ કાલે સંગમાની અરજી સુનાવણીને લાયક નહીં હોવાનું ગણાવીને નકારી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીને પડકારતી સંગમાની અરજીને આધારે રાષ્ટ્રપતિને નોટિસ આપી શકાય કે નહીં એ વિશે બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ ર્કોટના ચીફ જસ્ટિસ અલ્તમસ કબીરની વડપણ હેઠળની પાંચ જજોની બેન્ચમાં જે બે જજ સંગમાની અરજી સુનાવણીને લાયક હોવાનો મત ધરાવતા હતા.
સંગમાએ મુખરજી પર ચૂંટણીના નિયમોનો ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે મુખરજી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં સંગમાએ કરેલા આક્ષેપો નકારવામાં આવ્યા હતા. સંગમાનો દાવો હતો કે મુખરજીએ જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે તેઓ લોકસભાના નેતા તથા કલકત્તામાં આવેલી ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ (આઇએસઆઇ)ના ચૅરમૅનપદે હતા. સંગમાનું કહેવું હતું કે મુખરજી આ બન્ને સરકારી પદે હોવાથી રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર તરીકે તેઓ ગેરલાયક ઠરે છે. સંગમાએ મુખરજી પર બનાવટી સહી કરવાનો આરોપ પણ મૂક્યો હતો.