મહાવિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતી જાહેર થયા બાદ કૉન્ગ્રેસને બેઠકો ફાળવવામાં આવી છે એ વિશે મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ વર્ષા ગાયકવાડ સહિતના કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે
વર્ષા ગાયકવાડ
મહાવિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતી જાહેર થયા બાદ કૉન્ગ્રેસને બેઠકો ફાળવવામાં આવી છે એ વિશે મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ વર્ષા ગાયકવાડ સહિતના કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે અને બુધવારે મુંબઈ કૉન્ગ્રેસે બોલાવેલી બેઠકમાં તેઓ ગેરહાજર રહ્યાં હતાં એટલે એ બેઠક રદ કરવામાં આવી હતી. ગઈ કાલે સવારના વર્ષા ગાયકવાડે પત્રકારો સાથે વાત કરીને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને મુંબઈમાં સન્માનજનક બેઠકો મળવાની આશા હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથને ચાર અને કૉન્ગ્રેસને માત્ર બે જ જગ્યા ફાળવવામાં આવી છે. આ નિર્ણય લેતી વખતે અમને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા. પક્ષનો નિર્ણય શિરોમાન્ય છે, પણ આવી રીતે અમારી જાણ બહાર નિર્ણય લેવાય એ યોગ્ય નથી એટલે મારો મત પક્ષના વરિષ્ઠો સમક્ષ માંડીશ.’