તાજેતરની જિલ્લા આયોજન સમિતિની બેઠક દરમ્યાન આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકાર મુંબઈ માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ઑપરેટેડ ટ્રાફિક મૅનેજમેન્ટ પ્લાન માટેની યોજના પર કામ કરી રહી છે અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇમ્પ્લીમેન્ટેશનની સમીક્ષા કરવા માટે ટૂંક સમયમાં એક બેઠક બોલાવવામાં આવશે એમ રાજ્યના ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી (IT) પ્રધાન આશિષ શેલારે શનિવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય મુરજી પટેલે અંધેરી-વેસ્ટમાં ગંભીર ટ્રાફિક જૅમનો મુદ્દો ઉઠાવ્યા બાદ રાજ્ય વિધાનસભામાં આ મુદ્દો ચર્ચા માટે આવ્યો હતો. કૉન્ગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખે કહ્યું હતું કે શહેરમાં નો-એન્ટ્રીવાળા રસ્તાઓ પર ખોટી દિશામાં વાહનો ચલાવવાથી ટ્રાફિક જૅમ અને અકસ્માતોમાં વધારો થયો છે. શિવસેના (UBT)ના વરુણ સરદેસાઈએ ખાસ કરીને બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સ (BKC), કલાનગર, સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે વિસ્તારોમાં ટ્રાફિક જૅમ અને અકસ્માતોમાં વધારો થયો છે એમ કહ્યું હતું.
ADVERTISEMENT
આ બાબતે જવાબ આપતાં આશિષ શેલારે, જેઓ મુંબઈના પાલક પ્રધાન પણ છે, જણાવ્યું હતું કે ‘તાજેતરની જિલ્લા આયોજન સમિતિની બેઠક દરમ્યાન આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને તાત્કાલિક કાર્યવાહી માટે જૉઇન્ટ પોલીસ-કમિશનર (ટ્રાફિક)ને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. મુંબઈમાં ટ્રાફિકની મૂવમેન્ટને સુવ્યવસ્થિત કરવા એક વ્યાપક AI-સંચાલિત ટ્રાફિક મૅનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. શહેરના રસ્તાઓ પર પાર્ક કરાયેલાં ત્યજી દેવાયેલાં અને ભંગાર વાહનોની સમસ્યાને પ્રાથમિકતા તરીકે ઉકેલવામાં આવશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પહેલેથી જ એ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત વિધાનસભ્યો દ્વારા રજૂ કરાયેલાં સૂચનોને ધ્યાનમાં લઈને પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવા માટે ટૂંક સમયમાં એક બેઠક યોજવામાં આવશે.
