આ ત્રણ દિવસ મહાબળેશ્વર મહાપર્યટન મહોત્સવ ૨૦૨૫નું આયોજન થઈ રહ્યું હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે એટલે ટ્રૅફિક જૅમ થવાની શક્યતા છે
પ્રતીકાત્મક તસવીર
સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે અસંખ્ય લોકો ફૅમિલી સાથે આ સમયમાં ફરવા જવાનો પ્લાન કરે છે. ગરમીના ચટકાથી બચવા માટે મુંબઈગરાઓની પહેલી પસંદગી હિલસ્ટેશન મહાબળેશ્વર હોય છે. જોકે તમે બેથી ચાર મે દરમ્યાન મહાબળેશ્વર જવાનું વિચારતા હો તો સંભાળજો. આ સમય દરમ્યાન મહાબળેશ્વર મહાપર્યટન મહોત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મહાબળેશ્વરની હદમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની શક્યતા છે. એટલું જ નહીં, આ મહોત્સવમાં VVIP પણ સામેલ થવાના છે એટલે મહાબળેશ્વરના સાંકડા અને ઘાટવાળા રસ્તામાં ભારે ટ્રૅફિક જૅમ થઈ શકે છે.
મહાબળેશ્વર મહાપર્યટન મહોત્સવ દરમ્યાન પંચગની-મહાબળેશ્વરમાં ફરવા આવનારા પ્રવાસીઓ ટ્રૅફિક જૅમમાં ફસાય ન એ માટે પોલીસે પર્યાયી માર્ગ સૂચવ્યા છે. મુંબઈ, પુણે અને વાઈ તરફનાં વાહનો વાઈ (પસરણી ઘાટ) માર્ગે મહાબળેશ્વર તરફ જઈ શકશે. આ રસ્તો વનવે હશે; જ્યારે મહાબળેશ્વરથી મુંબઈ, પુણે અને વાઇ તરફ જવા માટે મેઢા, કુડાળ અને પાચવડ થઈને પુણે-બૅન્ગલોર હાઇવે તરફ જઈ શકાશે.
ADVERTISEMENT
અખાત્રીજે મુમ્બાદેવી માતાને કેરીનો શણગાર

અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે ગઈ કાલે અખાત્રીજના પાવન દિવસે મુમ્બાદેવી માતાને ભક્તોએ અર્પણ કરેલી કેરીનો શણગાર કરવામાં આવ્યો હતો.


