મુંબઈ નજીકના દરદીઓનો સવાલ,કોરોનાની યોગ્ય સારવાર મેળવવા ક્યાં જવું?
મહાલક્ષ્મી રેસકોર્સ પર આવેલું બીએમસીનું જમ્બો કોવિડ કૅર સેન્ટર: તસવીર : આશિષ રાજે
પાડોશનાં શહેરોના પેશન્ટો કરતાં શહેરના કોવિડ-19 પેશન્ટોને ખાનગી હૉસ્પિટલમાં સારવારને પ્રાધાન્ય આપવાના પાલિકાના ચીફના નિર્ણયે એમએમઆર ક્ષેત્રના ગંભીર રોગીઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
એમએમઆરનાં વિવિધ શહેરોમાં માનવ બળ અને માળખાકીય સવલતો પરસ્પર નિર્ભર છે, પરંતુ બાકીનાં ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય સંબંધી સેવાઓની હાલત ખરાબ હોવાથી નાગરિકોએ મુંબઈની હૉસ્પિટલો પર નિર્ભર રહેવું પડે છે.
બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કોવિડ-19ના કેસોમાં વૃદ્ધિ નોંધાતાં શહેરની ખાનગી હૉસ્પિટલોને સારવાર માટે શહેરના પેશન્ટોને પ્રાધાન્ય આપવા અને એમએમઆરના પેશન્ટોને સારવાર માટે કોવિડ-19 પેશન્ટો માટે ઊભા કરાયેલી જમ્બો સુવિધામાં મોકલવા જણાવ્યું છે. અસોસિએશન ઑફ મેડિકલ કન્સલ્ટન્ટ્સના પ્રમુખ ડૉક્ટર દીપક બૈદે જણાવ્યું હતું.
અન્ય એક ડૉક્ટરે નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આવો કોઈ સર્ક્યુલર નથી, માત્ર પ્રાધાન્ય એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ ખાનગી હૉસ્પિટલોમાં બેડની અછત હોવાથી પાલિકા સાથે સંઘર્ષ ટાળવા તેઓ એમએમઆરના પેશન્ટોને બેડ ખાલી ન હોવાનું જણાવે છે.’
ખાનગી હૉસ્પિટલના વરિષ્ઠ મૅનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને પણ એમએમઆર પેશન્ટને જમ્બો કોવિડ-19 સુવિધાઓમાં મોકલવાનું જણાવતો સંદેશો મળ્યો હતો. પરંતુ આ શક્ય નથી. અમે પેશન્ટને તેની સ્થિતિની ગંભીરતા જોઈને હૉસ્પિટલમાં દાખલ કરીએ છીએ. અમારી પાસે બેડ ઉપલબ્ધ હોય તો અમે તેમને અન્યત્ર જવા કઈ રીતે કહી શકીએ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મોટા ભાગની હૉસ્પિટલો તેમના હસ્તકના 20 ટકા કોવિડ પેશન્ટોના બેડમાં આવાં ગંભીર લક્ષણો ધરાવતા પેશન્ટોને દાખલ કરે છે.