દીકરી ગુમાવીને ભાંગી પડેલા પિતાએ કહ્યું, જ્યાં સુધી નરાધમને ફાંસી નથી અપાતી ત્યાં સુધી કોઈ રાજકારણીએ અમને મળવા આવવું નહીં
નસરાપુર ઘટનામાં ભોગ બનેલી બાળકીના પિતા
નસરાપુર ઘટનામાં ભોગ બનેલી બાળકીના પિતાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે જ્યાં સુધી મારી દીકરીને ન્યાય નથી મળતો અને એ નરાધમને ફાંસી નથી અપાતી ત્યાં સુધી કોઈ રાજકારણીએ અમને મળવા આવવું નહીં.
ગઈ કાલે બાળકીના અસ્થિવિસર્જન માટે દેહુ જઈ રહેલા તેના પિતાએ વિડિયો પોસ્ટ કરતાં કહ્યું હતું કે ‘હું પીડિત બાળકીનો પિતા છું. અમે અહીં અસ્થિવિસર્જન કરવા આવ્યા છીએ અને મને ઘરેથી ફોન આવ્યો કે અમારા ઘરે ઘણા રાજકારણીઓ સાંત્વન આપવા અથવા મળવા આવી રહ્યા છે. મારી અને મારા પરિવારની એક જ ઇચ્છા છે કે જ્યાં સુધી મારી દીકરીને યોગ્ય ન્યાય મળતો નથી કે પેલા નરાધમને જ્યાં સુધી ફાંસી થતી નથી ત્યાં સુધી એક પણ રાજકારણીએ અમારા ઘરે અમને મળવા આવવું નહીં એટલી મારી નમ્ર વિનંતી છે. જ્યારે નરાધમને ફાંસી મળે ત્યારે જ રાજકારણી કે જેપણ લોકો અમને મળવા માગે છે તેમને અમે મળીશું.’
ADVERTISEMENT
ગઈ કાલે સવારે બાળકીના પરિવારને મળવા વિધાનસભ્ય રોહિત પવાર અને ભારતીય જનતા પાર્ટીનાં નેતા મેધા કુલકર્ણી ગયાં હતાં અને સાંજે મનોજ જરાંગે તેમને મળવા જવાના હતા એ પહેલાં જ બાળકીના પિતાએ રાજકારણીઓ અને લોકોને મળવા નહીં આવવાની સ્પષ્ટ વિનંતી કરી છે.
