Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નૉન-સ્ટૉપ નાના પટોલે

નૉન-સ્ટૉપ નાના પટોલે

13 July, 2021 08:45 AM IST | Mumbai
Dharmendra Jore

શિવસેના અને એનસીપીએ આ આરોપો સામે નારાજગી વ્યક્ત કરતાં તેમણે ફેરવી તોળ્યું કે મારાં નિવેદનને ખોટી રીતે પેશ કરવામાં આવ્યું છે

કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે.

કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે.


રોજેરોજ નવા આક્ષેપો કરી રહેલા રાજ્ય કૉન્ગ્રેસના પ્રમુખે હવે કહ્યું કે ઠાકરે સરકાર સિક્યૉરિટી સ્ટાફ મારફતે મારી જાસૂસી કરાવી રહી છે. જોકે શિવસેના અને એનસીપીએ આ આરોપો સામે નારાજગી વ્યક્ત કરતાં તેમણે ફેરવી તોળ્યું કે મારાં નિવેદનને ખોટી રીતે પેશ કરવામાં આવ્યું છે

કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સરકાર સિક્યૉરિટી સ્ટાફ મારફતે પોતાની જાસૂસી કરી રહ્યા હોવાનો આરોપ કરીને વિવાદનો વધુ એક મધપૂડો છેડ્યો છે. મહા વિકાસ આઘાડી સરકારમાં ત્રણેય પક્ષો વચ્ચે કોઈ ને કોઈ વિવાદ ચાલી રહ્યો છે એમાં નાના પટોલેના આરોપે ઘી હોમવાનું કામ કર્યું છે. શિવસેના અને એનસીપીના નેતાઓએ કૉન્ગ્રેસના નેતાના આરોપને પાયાવિહીન ગણાવ્યા છે.
નાના પટોલેએ શનિવારે લોનાવલા ખાતે પક્ષના કાર્યકરોને સંબોધતી વખતે આ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. આ કાર્યક્રમની વિડિયો ક્લિપમાં નાના પટોલે કહેતા સાંભળવામાં આવે છે કે સિક્યૉરિટી સ્ટાફ પોતાની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યો છે અને એની માહિતી મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને દરરોજ મોકલે છે. કૉન્ગ્રેસ પક્ષના વિસ્તાર માટે મહેનત કરી હોવાથી સત્તામાં ભાગીદાર પક્ષોના પગ નીચેથી જમીન સરકી રહી છે.
શિવસેના અને એનસીપી નારાજ થાય એવાં નિવેદનો નાના પટોલે અગાઉ પણ આપી ચૂક્યાં છે. મહા વિકાસ આઘાડી સરકારમાં સામેલ હોવા છતાં તેઓ અનેક વખત કહી ચૂક્યા છે કે આગામી ચૂંટણીમાં કૉન્ગ્રેસ સ્વતંત્ર ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહી છે, જે સાથી પક્ષોને પ્રત્યુત્તર આપવા માટે ઉકસાવે છે. નાના પટોલેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પણ નથી છોડ્યા.
જોકે પોતાનાં નિવેદનથી ભારે વિવાદ ઊભો થવાથી નાના પટોલેએ મહા વિકાસ આઘાડી સરકાર સામે પોતે કોઈ આરોપ ન કર્યો હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું હતું કે પોતાનાં નિવેદનને મચડવામાં આવ્યું છે. જોકે તેમણે કહ્યું હતું કે પોતે જે કંઈ પણ કહ્યું હતું એ કેન્દ્ર સરકાર બાબતે કહ્યું હતું, રાજ્ય સરકાર સામે કોઈ ફરિયાદ નહોતી કરી.
નાના પટોલેનો આ ખુલાસો મહા વિકાસ આઘાડી સરકારના સાથી પક્ષોના ગળે નથી ઊતર્યો. તેમણે આ બાબતે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખરગે, રાજ્યના પ્રભારી એચ. કે. પાટીલને રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2021 08:45 AM IST | Mumbai | Dharmendra Jore

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK