માતોશ્રીની બહારના રસ્તા પર લગાડવામાં આવેલા શિંદેસેનાના બૅનર પર શિવબંધન બાંધતા ઉદ્ધવ ઠાકરેના હાથ સાથે લખવામાં આવ્યું…
માતોશ્રી પાસે ગઈ કાલે એકનાથ શિંદેની શિવસેનાનું આ બૅનર જોવા મળ્યું હતું.
વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યભરમાં ઉદ્ધવ ઠાકરેને જોરદાર ટક્કર આપનારા એકનાથ શિંદેએ હવે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સામેની લડતની શરૂઆત કરી હોવાનું જણાઈ આવ્યું છે. ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના બાંદરા-ઈસ્ટના કલાનગર ખાતેના માતોશ્રી બંગલાની બહારના રસ્તા પર એકનાથ શિંદેની શિવસેનાનું એક બૅનર લગાડવામાં આવ્યું હતું. આ બૅનરમાં ઉદ્ધવ ઠાકરેનો હાથ કોઈને શિવબંધન બાંધતો દેખાડવામાં આવ્યો હતો અને એની બાજુમાં એકનાથ શિંદેનો ફોટો મૂકવામાં આવ્યો હતો. બૅનરના નીચેના ભાગમાં મૈત્રી ધાગ્યાશી નાહી, મૈત્રી વાઘાશી લખવામાં આવ્યું હતું. માતોશ્રીની બહાર લાગેલું આ બૅનર ખૂબ ચર્ચાસ્પદ બન્યું હતું.
વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેએ રાજ્યભરમાં સારો દેખાવ કર્યો હતો, પરંતુ મુંબઈમાં તેઓ ઉદ્ધવ ઠાકરેને જોઈએ એવી ટક્કર નહોતી આપી શક્યા. પરિણામે મુંબઈમાં ઉદ્ધવસેનાએ ૧૦ બેઠક મેળવી હતી. મુંબઈમાં પણ ઉદ્ધવ ઠાકરેની તાકાતને પડકારવા માટે એકનાથ શિંદેએ કમર કસી છે અને તેમણે આગામી ચૂંટણી માટેની તૈયારી માતોશ્રીની બહાર બૅનર લગાવીને કરી હોવાની ચર્ચા થઈ રહી છે.

