છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક એ પહેલો સ્વતંત્રતા દિન હતો, બધા રાજાઓને હરાવીને તેમણે સ્વરાજ્યની સ્થાપના કરી હતી: સંભાજી રાજે છત્રપતિ
રાયગડ પર ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિન નિમિત્તે પૂજા કરી રહેલા સંભાજી રાજે છત્રપતિ.
છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ૧૬૭૪ની ૬ જૂને રાયગડ કિલ્લા પર થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજના અનુયાયીઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ૬ જૂને રાયગડ કિલ્લા પર જઈને રાજ્યાભિષેકની યાદ તાજી કરીને તેમને માનવંદના આપે છે એમ ગઈ કાલે પણ મોટી સંખ્યામાં શિવભક્તો ત્યાં પહોંચ્યા હતા.
શિવાજી મહારાજના હાલના વંશજ સંભાજી રાજે છત્રપતિ પણ ગઈ કાલે હંમેશની જેમ રાયગડ કિલ્લા પર ગયા હતા અને શિવાજી મહારાજને માનવંદના આપી હતી. તેમણે ઉપસ્થિત શિવપ્રેમીઓને સંબોધતાં કહ્યું હતું કે ‘આપણે રાજ્યાભિષેકનું મહત્ત્વ સમજવું જોઈએ. આ કાંઈ સાધારણ દિવસ નથી, અનન્ય અસાધારણ દિવસ છે. બધા બાદશાહોને હરાવીને, ગુલામગીરીથી મુક્ત કરીને શિવાજી મહારાજ છત્રપતિ બન્યા હતા. આ ભલે રાજ્યાભિષેક હતો પણ તેમણે ખરા અર્થમાં આપણા માટે સ્વરાજ્યનું નિર્માણ કર્યું હતું. આ દિવસથી નવું પર્વ શરૂ થયું હતું. ભારતને ૧૯૪૭માં સ્વતંત્રતા મળી. આપણા પર બ્રિટિશરોએ ૧૫૦ વર્ષ રાજ કર્યું એથી એ સ્વતંત્રતાદિનની ઉજવણી ભવ્ય રીતે જ થવી જોઈએ, પણ આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણને બધા બાદશાહ અને ધર્માંધ ઇસ્લામી લોકોના હુમલામાંથી બહાર કાઢીને શિવાજી મહારાજે સ્વરાજ્ય નિર્માણ કર્યું હતું. એથી મારા દૃષ્ટિકોણ મુજબ ભારતનો પહેલો સ્વતંત્રતાદિન જો કોઈ હોય તો એ છે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિન.’
ADVERTISEMENT
નવી મુંબઈ ઍરપોર્ટ પર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિન નિમિત્તે નવી મુંબઈ ઍરપોર્ટ પર છત્રપતિ શિવાજી મહારાજની ૧૨ ફુટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
મૃણાલતાઈ ગોરે બ્રિજ એક્સ્ટેન્શન આર્મ મોટરિસ્ટો માટે ખુલ્લો મુકાયો
ગોરેગામ-વેસ્ટમાં રામ મંદિર રોડથી લઈને ઓશિવરાના રિલીફ રોડ વચ્ચે મૃણાલતાઈ ગોરે બ્રિજના એક્સ્ટેન્શન આર્મને ગઈ કાલે મોટરિસ્ટો માટે ઓપન કરવામાં આવ્યો હતો. મુંબઈનાં મેયર રિતુ તાવડે, ડેપ્યુટી મેયર સંજય ઘાડી અને અને અન્ય અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં. આ એક્સ્ટેન્શન આર્મને કારણે હવે ઓશિવરાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સડસડાટ આવી-જઈ શકાશે.
મલાડમાં મૉન્સૂન ડિઝૅસ્ટર કન્ટ્રોલ રૂમનું આજે ઉદ્ઘાટન
નાગરિકોને ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જવાની, ટ્રાફિક જૅમની, વૃક્ષ પડવાની વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી તેમની મદદ માટે મલાડના વૉર્ડ-નંબર ૪૭માં મલાડના લિન્ક રોડ મેટ્રો સ્ટેશનની નીચે મહારાણા પ્રતાપ ગાર્ડન નજીક મૉન્સૂન ડિઝૅસ્ટર કન્ટ્રોલ રૂમનું ઉદ્ઘાટન આજે રવિવારે ૧૧ વાગ્યે કરવામાં આવશે. આ કન્ટ્રોલ રૂમ દ્વારા મલાડ-વેસ્ટમાં પાણી ભરાતાં હોય એવાં ૬ સ્થળોનું લાઇવ મૉનિટરિંગ થશે તથા વાઇ-ફાઇ કૅમેરાથી લાઇવ વિડિયો-ફીડ પણ મેળવાશે. ઇમર્જન્સીની પરિસ્થિતિમાં લોકોની મદદ માટે પહોંચી શકે એવા તાલીમ પામેલા કર્મચારીઓ આ કન્ટ્રોલ રૂમમાં સજ્જ રહેશે અને જરૂરી ઉપકરણોની વ્યવસ્થા પણ રહેશે.
