તેમને એ ફુટેજ આપવાની પરવાનગી આપવામાં જાણીજોઈને ડિલે કરવામાં આવ્યું હતું
ફાઇલ તસવીર
મુકેશ અંબણીના ઍન્ટિલિયા નજીકથીથી મળી આવેલી સ્કૉર્પિયો કારના કેસની તપાસ શરૂઆતમાં ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડને સોંપાઈ હતી. તપાસ દરમ્યાન એટીએસને જ્યારે જાણ થઈ કે એ સ્કૉર્પિયો તો મુંબઈ પોલીના હેડક્વૉર્ટરમાં પાર્ક થયેલી જોવા મળી હતી એથી એટીએસે મુંબઈ કમિશનર હેડક્વૉર્ટર કમ્પાઉન્ડના સીસીટીવી કૅમેરા ફુટેજ મેળવવા ૪ વખત લેટર લખ્યા હતા. સૂત્રોઅે જણાવ્યા મુજબ તેમને એ ફુટેજ આપવાની પરવાનગી આપવામાં જાણીજોઈને ડિલે કરવામાં આવ્યું હતું. ૩ લેટર લખ્યા પછી પણ જ્યારે એ માટે પરવાનગી ન મળી ત્યારે આખરે ચોથા લેટરમાં તેમણે ૪૫ દિવસ પહેલાં સુધીનાં ફુટેજ સાચવી રાખવાનું જણાવતી અરજી કરી હતી.
એનઆઇએનું માનવું છે કે ઘટનાની રાતે સ્કૉર્પિયો વઝેનો અત્યંત વિશ્વાસુ સાગરીત ચલાવી રહ્યો હતો જ્યારે ઇનોવા વઝે પોતે ચલાવી રહ્યો હતો. એટીએસ કેસની તપાસ કરી રહી હતી ત્યારે જ સચિન વઝેનું ઇન્વૉલ્વમેન્ટ હોઈ શકે અેવી જાણ થઈ હતી, એથી તેમણે તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર ઑફિસને પત્ર લખી સીસીટીવી કૅમેરા ફુટેજ માગ્યાં હતાં. એ વખતે પરમબીર સિંહ મુંબઈના પોલીસ કમિશનર હતા. પરમબીર સિંહે તેમના પત્રોનો કશો જવાબ આપ્યો નહોતો. મુંબઈ પોલીસના હૅડક્વૉર્ટરમાં આખા કૅમ્પસમાં હાલમાં માત્ર એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પરના જ સીસટીવી કૅમેરા ચાલુ છે. પહેલાં અંદર કૅમ્પસમા લગાડાયેલા બે કૅમેરા ચાલુ હતા, પણ એ પણ હવે લાંબા સમયથી બંધ છે. એટીએસને એવી પણ માહિતી મળી હતી કે સ્કૉર્પિયો પાછળ જે ઇનોવા હતી એ સીઆઇયુ (ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ)ની હતી, પણ સીસીટીવી કૅમેરા ફુટેજ ન હોવાથી તેઓ અેને સચિન વઝે સાથે લિન્ક કરી શક્યા નહોતા.