નો નાઇટ કરફ્યુ
નવા વર્ષની રાત્રે જુહુ બીચ ખાલી કરાવતી પોલીસની ફાઈલ તસવીર
બીએમસી પાંચમી જાન્યુઆરી બાદ રાત્રિ-કરફ્યુને ન લંબાવવાની વિચારણા કરી રહ્યું હોવાથી મુંબઈવાસીઓને થોડા અંશે રાહતનો અનુભવ થશે. આ નિર્ણય મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં સોમવારે યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. આ ઉપરાંત બીએમસી રસીકરણ-કેન્દ્રોની સંખ્યા વધારવાની અને રોજના ૫૦,૦૦૦ લોકોને રસી મૂકવાની યોજના પણ ધરાવે છે. જોકે પ્રથમ તબક્કામાં કેન્દ્ર સરકાર પાસેથી કેટલી રસી મળશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા પ્રવર્તતી નથી.
બીએમસીના એક સિનિયર અધિકારીએ જણાવ્યા પ્રમાણે નવા કેસની સંખ્યા અને મૃત્યુઆંક ઘટતાં નાઇટ-કરફ્યુ ન લંબાવવાનો નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
અન્ય એક પગલામાં બીએમસી રસીકરણ-કેન્દ્રોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે. શરૂઆતમાં બીએમસીએ ચાર મેડિકલ કૉલેજ અને ચાર પાલિકાની હદમાં આવતી હૉસ્પિટલો સહિતની આઠ હૉસ્પિટલ તૈયાર કરી હતી અને આઠ કેન્દ્રો તૈયાર રખાયાં હતાં. હવે એ રસીકરણનો કાર્યક્રમ ૭૫ કેન્દ્રો સુધી વિસ્તારવા માગે છે.
બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘અત્યારે અમે રોજના ૧૨,૦૦૦ લોકોને રસી મૂકી શકીએ એમ છીએ. આ કેન્દ્રો સજ્જ થઈ જાય ત્યાર બાદ ક્ષમતા વધારીને દૈનિક ૫૦,૦૦૦ રસીની કરાશે. રસીના આગમન અગાઉ કેન્દ્રો બે-ત્રણ દિવસમાં સજ્જ થઈ જશે.’
આશરે ૧.૨૫ લાખ હેલ્થકૅર વર્કર્સ છે, જેમાં પાલિકા સંચાલિત હૉસ્પિટલોના સ્ટાફનો પણ સમાવેશ છે. ક્ષમતા વધારવાથી અમને બે-ત્રણ દિવસમાં તમામ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી મૂકવામાં મદદ મળશે, એમ કાકાણીએ ઉમેર્યું હતું.
જોકે પ્રથમ તબક્કામાં તેઓ કેન્દ્ર પાસેથી કેટલી સંખ્યામાં રસી મેળવશે એ વિશે તેઓ સ્પષ્ટ નથી, પરંતુ સપ્તાહની અંદર રસી પૂરી પાડવામાં આવે એવી તેમને અપેક્ષા છે. બીજા તબક્કામાં પોલીસ અધિકારીઓ અને ત્રીજા તબક્કામાં સિનિયર સિટિઝનને રસી મૂકવામાં આવશે.