અજાણ્યા તસ્કરે અહીંની બે દાનપેટી તોડીને ચોરી કરી હોવાનું ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જણાઈ આવ્યું છે
CCTV કૅમેરાનાં ફુટેજ
મીરા રોડમાં શાંતિનગરના સેક્ટર-૪માં પોલીસચોકીની એકદમ સામે દસેક મીટરના અંતરે આવેલા ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિરમાં મૂકવામાં આવેલી બે દાનપેટીમાંથી એકાદ લાખ રૂપિયાની રોકડ રકમ ચોરી થવાની ચોંકાવનારી ઘટના બુધવારે રાત્રે બની હતી. મંદિરનો આગળનો દરવાજો અને તાળું એમનેએમ હતાં, પણ અંદરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને અજાણ્યા તસ્કરે અહીંની બે દાનપેટી તોડીને ચોરી કરી હોવાનું ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જણાઈ આવ્યું છે. મંદિરના પૂજારીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે તે બુધવારે રાત્રે મંદિર બંધ કરીને ગયા હતા અને ગુરુવારે સવારના પાંચ વાગ્યે મંદિરે આવ્યા ત્યારે તેમણે દાનપેટીઓ તૂટેલી જોઈ હતી. આ મંદિરની સામે જ પોલીસચોકી આવેલી છે. આમ છતાં ચોરને જાણે કોઈ ડર નથી અને મંદિરમાં હાથફેરો કર્યો છે. નયાનગર પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

