છેલ્લાં પાંચ વર્ષથી બંને પાર્ટનરો કબજો આપવા માટે ઠાગાઠૈયા કરતા હતા.
આદિત્ય ડેવલપર્સના પાર્ટનરો હિમેશ દેસાઈ અને નિશિથ શાહ.
બોરીવલી-વેસ્ટના કચ્છી મનીષ મનસુખલાલ શાહે બોરીવલી-વેસ્ટના આદિત્ય ડેવલપર્સને ૨૦૧૮માં ૯૯ લાખ રૂપિયા ચૂકવી દીધા પછી પણ આજ સુધી તેમને ફ્લૅટનો કબજો મળ્યો નથી. મનીષ શાહની બોરીવલી પોલીસમાં ફરિયાદ પછી પોલીસે આદિત્ય ડેવલપર્સના પાર્ટનરો હિમેશ હર્ષદરાય દેસાઈ અને નિશિથ હિંમતલાલ શાહની વિરુદ્ધમાં છેતરપિંડીનો કેસ નોંધીને તપાસમાં બંને પાર્ટનરોએ છેતરપિંડી કરી હોવાની ખાતરી થયા બાદ તેમની ધરપકડ કરી હતી. બોરીવલીની મૅજિસ્ટ્રેટ કોર્ટે આ બંને પાર્ટનરોની જામીનઅરજી રદ કરીને તેમને થાણેની જેલમાં મોકલી દીધા હતા.
આ બનાવની માહિતી આપતાં બોરીવલી-વેસ્ટના ચંદાવરકર રોડના રહેવાસી ૪૮ વર્ષના બિઝનેસમૅન મનીષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૨૦૧૮માં ફ્લૅટ શોધી રહ્યા હતા. આથી અમે બોરીવલી-વેસ્ટની ફૅક્ટરી લેનમાં આવેલી આદિત્ય ડેવલપરની ઑફિસમાં ગયા હતા. ત્યાં જઈને અમે આદિત્ય ડેવલપર્સના પાર્ટનરો હિમેશ દેસાઈ અને નિશિથ શાહને મળ્યા હતા અને તેમને અમારે ટૂ બીએચકેનો ફ્લૅટ લેવાની ઇચ્છા દર્શાવી હતી. તેમણે મને એલબીઆઇ એમ્પ્લૉઈઝ રાગ વિહાર સહકારી ગૃહનિર્માણ સોસાયટીના બીજા માળને ફ્લૅટ બતાવ્યો હતો. જગ્યા જોયા પછી ફેબ્રુઆરી ૨૦૧૮માં તેમના બૅન્ક-અકાઉન્ટમાં પચાસ લાખ રૂપિયા, ચોવીસ લાખ રૂપિયા અને પચ્ચીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. એના બે દિવસ પછી ફ્લૅટનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યાર પછી અનેક ધક્કા ખાવા છતાં તેમણે મને ફ્લૅટનો કબજો આપ્યો નહોતો.
છેલ્લાં પાંચ વર્ષથી બંને પાર્ટનરો કબજો આપવા માટે ઠાગાઠૈયા કરતા હતા. ઉપરથી ૨૦૨૧માં મને ધમકી આપીને કહ્યું હતું કે જો હવે અમારી પાસે ફ્લૅટ માટે આવ્યા છો તો અમે તને છોડીશું નહીં. આથી મારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાં હોવાથી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
મારી ફરિયાદ પછી બોરીવલી પોલીસને તેમની તપાસમાં આદિત્ય ડેવલપરે ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ના કરવામાં આવેલો ડેવલપમેન્ટ ઍગ્રીમેન્ટ પણ મુંબઈ હાઈ કોર્ટે ૪ ઑગસ્ટ ૨૦૨૧માં રદ કરેલા હોવાના પુરાવા મળ્યા હતા. આ જાણકારી આપતાં મનીષ શાહે કહ્યું હતું કે ‘ત્યાર પછી પોલીસે બંને પાર્ટનરોની ધરપકડ કરી હતી. પોલીસ મારી જેમ અન્ય કેટલા લોકો સાથે આ ડેવલપરોએ છેતરપિંડી કરી છે એ પણ શોધી રહી છે. ત્યાર બાદ બોરીવલીની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટે આદિત્ય ડેવલપર્સના પાર્ટનરો હિમેશ દેસાઈ અને નિશિથ શાહને જેલની સજાનો આદેશ આપ્યો હતો તેમ જ ૧૮ જાન્યુઆરીએ તેમની જામીનઅરજી પણ રદ કરી હતી.’
