આ બેઠક પર એકનાથ શિંદેની શિવસેનાના સંદીપાન ભુમરે ફાઇનલ
એકનાથ શિંદેની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં મુંબઈની ત્રણ સહિત નાશિક, થાણે, પાલઘર અને છત્રપતિ સંભાજીનગર વગેરે લોકસભા બેઠકોનો નિર્ણય લેવાનો બાકી હતો એમાં ગઈ કાલે છત્રપતિ સંભાજીનગરની બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના ૧૯૯૫થી સતત પાંચ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવતા અને અત્યારની રાજ્ય સરકારના કૅબિનેટ પ્રધાન સંદીપાન ભુમરેની ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી. આ બેઠક માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદે જૂથ વચ્ચે લાંબી ખેંચતાણ ચાલી હતી. ૨૦૧૯માં મોદીની બીજી લહેર હોવા છતાં અહીંથી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ઇમ્તિયાઝ જલીલે એ સમયની અખંડ શિવસેનાના ઉમેદવાર ચંદ્રકાંત ખૈરેને હરાવ્યા હતા. ૨૦૧૯માં વંચિત બહુજન આઘાડીએ AIMIMને સમર્થન આપ્યું હતું. જોકે અત્યારની ચૂંટણીમાં વંચિત બહુજન આઘાડીએ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો છે અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ ફરી ચંદ્રકાંત ખૈરેને મોકો આપ્યો છે. આથી અહીં ત્રિકોણીય જંગ જોવા મળશે.