બે જણના મૃતદેહ ગઈ કાલે મળી આવ્યા હતા જ્યારે એક યુવકની શોધ ગઈ કાલ મોડી રાત સુધી ચાલુ રખાઈ હતી
ગઈ કાલે વર્સોવા બીચ પર એકબીજાને સાંત્વન આપી રહેલા સ્વજનો (તસવીર : સૈયદ સમીર અબેદી)
ગણેશવિસર્જન વખતે વર્સોવાના દરિયાકિનારે વિસર્જન કરવા ગયેલા અંધેરી-વેસ્ટના પાંચ મિત્રો દરિયામાં ડૂબી ગયા હતા. હાહાકાર મચી જતાં જ સ્થાનિકોએ પાંચમાંથી બે જણને તો બચાવી લીધા હતા, પણ ૩ જણ ડૂબી ગયા હતા. ત્યાર બાદ તેમાંના બે જણના મૃતદેહ ગઈ કાલે મળી આવ્યા હતા જ્યારે એક યુવકની શોધ ગઈ કાલ મોડી રાત સુધી ચાલુ રખાઈ હતી.
ડૂબી જવાની આ ઘટના વિશે માહિતી આપતા વર્સોવા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સિરાજ ઇનામદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ યુવાનો અંધેરી આરટીઓ લેન પાસે આવેલા કાસમનગરના રહેવાસીઓ છે. તેમણે પોતાના વિસ્તારમાં નાના પાયે સાર્વજનિક ગણપતિની સ્થાપના કરી હતી. વિસર્જન કરવાના ઉત્સાહમાં પાણીમાં જતાં તેઓ ડૂબવા માંડ્યા હતા. તેમાંથી વિજય રવિદાસ મરાઠે અને શિવમ રંજનલાલ નિર્મલને સ્થાનિકોએ બચાવી લીધા હતા. જ્યારે શુભમ નિર્મલ, સંજય ઉર્ફ અક્ષય તાવડે અને વિજય પાટીલની શોધ ચલાવ્યા છતાં રવિવારે રાત સુધી કોઈ સગડ મળ્યા નહોતા. ફાયરબ્રિગેડ અને અન્ય સ્થાનિકોની મદદથી રાતભર શોધ ચાલુ રખાઈ હતી. સોમવારે સવારે સંજય તાવડે અને ત્યાર બાદ શુભમ નિર્મલના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે સંજય પાટીલની શોધ ચલાવાઈ રહી હતી.
ADVERTISEMENT
બન્ને મૃતદેહના કૂપર હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કર્યા બાદ તેનો તાબો ગઈ કાલે સાંજે તેમના પરિવારોને સોંપાયો હતો. એક જ વિસ્તારના બે યુવાનોનાં મોત અને એક મિસિંગ થવાથી આખા વિસ્તારમાં શોકની છાયા પ્રસરી ગઈ હતી.