Ganeshotsav 2026: પાલિકાએ એવા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક ટનથી વધુ વજન ધરાવતી ગણેશ મૂર્તિઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે; નાગરિકો અને આયોજકોને સોશિયલ મીડિયાની અફવાઓ પર વિશ્વાસ ન રાખવા કહ્યું
મુંબઈમાં ગણેશ મૂર્તિઓ પંડાલમાં લઈ જવાઈ રહી હતી તે સમયની ફાઇલ તસવીર (તસવીરઃ શાદાબ ખાન)
મુંબઈ (Mumbai)માં ગણેશોત્સવ (Ganeshotsav 2026) શરુ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં બાપ્પાના આગમનની તૈયારીઓ થઈ ગઈ છે. ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) એ મોટી ગણેશ મૂર્તિઓ માટે સ્ટ્રક્ચરલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યા હોવાના અહેવાલોને સત્તાવાર સ્પષ્ટતા જારી કરીને ફગાવી દીધા છે. બુધવારે, ૨૬ ઓગસ્ટે નાગરિક વહીવટીતંત્રે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલા દાવાઓ અને સમાચાર અહેવાલોને નકારી કાઢ્યા હતા, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે ૨૦૨૬ના ગણેશોત્સવ માટે ગણેશોત્સવ મંડળોએ સુરક્ષા પ્રમાણપત્રો મેળવવા અથવા મૂર્તિઓના વજનના આધારે તેનો ટ્રેક રાખવો પડશે.
મૂર્તિઓ માટે ફરજિયાત સર્ટિફિકેટની અફવાઓને તંત્રે નકારી
ADVERTISEMENT
એક સત્તાવાર નિવેદન દ્વારા પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં મહાનગરપાલિકા (BMC)એ ભારપૂર્વક જણાવ્યું હતું કે એક ટનથી વધુ વજન ધરાવતી મૂર્તિઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત બનાવતો કોઈ નિર્દેશ જારી કરવામાં આવ્યો નથી. બીએમસીના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે વહીવટીતંત્રે શહેરભરના મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવતી ઊંચી મૂર્તિઓ માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક અથવા વજન આધારિત મંજૂરીઓ ફરજિયાત બનાવતી કોઈ નિયમનકારી આવશ્યકતા દાખલ કરી નથી.
તાજેતરમાં ભુલેશ્વર વિસ્તારમાં ગણેશ મૂર્તિ તૂટી પડવાની દુઃખદ ઘટના બાદ પાલિકા તંત્ર સખત સર્ટિફિકેશન ધોરણો લાગુ કરવાની યોજના બનાવી રહ્યું હોવાની વ્યાપક અફવાઓ ફેલાઈ હતી. પાલિકાએ પુષ્ટિ કરી છે કે આ દાવાઓ સંપૂર્ણપણે બિન-ચકાસાયેલ અને તથ્યહીન છે.
મૂર્તિ નિર્માણ અને સપ્લાયના રેકોર્ડ રાખવા અંગે કોઈ આદેશ નથી
ફરજિયાત ફિટનેસ સર્ટિફિકેટના ઇનકારની સાથે, મહાનગરપાલિકાએ મૂર્તિકારો અને ગણેશોત્સવ સમિતિઓ માટે ફરજિયાત રેકોર્ડ રાખવા અંગેના દાવાઓ પર પણ સ્પષ્ટતા કરી હતી. અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મૂર્તિ બનાવનારાઓ અને મંડળોએ મૂર્તિના નિર્માણથી લઈને અંતિમ ડિલિવરી સુધી તેની બનાવટ, ઊંચાઈ, વજન અને વિતરણના સમયપત્રક સહિતની વ્યાપક વિગતો નોંધવી પડશે.
બીએમસીના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે મૂર્તિઓનું ટ્રેકિંગ અથવા સતત રેકોર્ડ જાળવવાની જરૂર હોય તેવો કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી. પાલિકા તંત્રે આયોજકોને આશ્વાસન આપ્યું હતું કે પરંપરાગત પ્રોટોકોલ યથાવત રહેશે અને મંડળોને ગેરમાર્ગે દોરનારા અહેવાલો પર ધ્યાન ન આપવા તથા સત્તાવાર માધ્યમો દ્વારા જારી કરાયેલ ધોરણોને અનુસરવાની સલાહ આપી હતી.
મંડળો અને ભક્તોને અપીલ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા સત્તાવાર સંદેશામાં, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈ મેટ્રોપોલિટન રિજનના ગણેશોત્સવ મંડળો, મૂર્તિકારો અને નાગરિકોને તહેવારના નિયમો અંગેની બિન-ચકાસાયેલ અફવાઓ પર વિશ્વાસ ન કરવા કે તેને વાયરલ ન કરવા અપીલ કરી હતી.
નાગરિક સત્તાવાળાઓએ સ્થાપિત સમિતિઓ દ્વારા જાહેર સુરક્ષા સાવચેતીઓ જાળવી રાખીને ગણેશોત્સવની સુચારૂ ઉજવણીમાં સહયોગ આપવાની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. અધિકારીઓએ ઉમેર્યું હતું કે પરવાનગી પ્રક્રિયા, મંડપની મંજૂરી અથવા વિસર્જનની વ્યવસ્થા અંગેના કોઈપણ સત્તાવાર અપડેટ્સ કે માર્ગદર્શિકા સત્તાવાર પ્રેસ રિલીઝ દ્વારા પારદર્શક રીતે પહોંચાડવામાં આવશે.
