Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જીવલેણ ઝોકું

01 February, 2023 08:27 AM IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

સંબંધીને મુંબઈ ઍરપોર્ટ પર છોડવા આવતી વખતે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર કાર અને બસના થયેલા અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત

મુંબઈ-અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.

મુંબઈ-અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.


મુંબઈ : મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં કાર અને લક્ઝરી બસ વચ્ચે થયેલી ટક્કરમાં કારમાં સવાર એક મહિલા સહિત ચારેય મુસાફરોનાં મોત થયાં હતાં. આ ઘટના દહાણુ તાલુકાના ચારોટીથી પાંચ કિલોમીટર દૂર આવેલા મહાલક્ષ્મી મંદિર પાસે સવારે સાડાત્રણ વાગ્યાની આસપાસ બની હતી. ઉલ્લેખનીય છે કે સાયરસ મિસ્ત્રીના અકસ્માત-સ્થળની પાસે અને જાન્યુઆરી મહિનામાં નાલાસોપારાના ગુજરાતી પરિવારનો અકસ્માત થયો એ સ્થળે આ અકસ્માત થયો હતો. કારચાલકને ડ્રાઇવિંગ કરતી વખતે ઝોકું આવી જતાં સ્પીડ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું પણ જણાઈ રહ્યું છે.

કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાલક્ષ્મી મંદિર પાસે બનેલા આ અકસ્માતમાં કારચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ગુજરાતની લેનમાં ઘૂસી જતાં ગુજરાત તરફ જતી લક્ઝરી બસ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર તમામ મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. પોલીસે માહિતી આપી હતી કે કારમાં સવાર મુસાફરો ગુજરાતના બારડોલીના રહેવાસી હતા. આ અકસ્માતમાં બસમાં સવાર ત્રણ મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી.



અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોનાં નામ ૩૬ વર્ષના મોહમ્મદ અબ્દુલ સલામ હાફિસજી, ૬૦ વર્ષના ઇબ્રાહિમ દાઉદ, ૫૭ વર્ષનાં આસિયા કલેક્ટર, ૪૨ વર્ષના ઇસ્માઇલ મોહમ્મદ દેસાઈ છે. અકસ્માતની માહિતી મળતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રેસ્ક્યુ ઑપરેશન કરીને પોલીસે ઘટનાસ્થળે પંચનામું કર્યું હતું અને તમામ મૃતદેહોને કબજામાં લઈને આગળની કાર્યવાહી માટે કાસાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


અકસ્માતને પગલે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર થોડો સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને વાહનવ્યવહાર ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા. અકસ્માતગ્રસ્ત વાહનને ક્રેનની મદદથી હાઇવે પરથી દૂર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ ગયો હતો.

આ અકસ્માત વિશે કાસા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીકાંત શિંદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગુજરાતથી મુંબઈ દિશામાં ઍરપોર્ટ પર જવા માટે કારમાં ચાર જણ જઈ રહ્યા હતા. કારમાં સવાર ઇબ્રાદિમ દાઉદ એનઆઇઆર હતા અને તે ઇંગ્લૅન્ડ જવાના હતા. એથી તેમને છોડવા તેમના સંબંધીઓ મુંબઈ આવી રહ્યા હતા. જોકે દહાણુ પાસે પહોંચ્યા ત્યારે કારચાલક ઇસ્માઇલનું સ્પીડમાં જઈ રહેલી કાર પરથી નિયંત્રણ છૂટી જતાં કાર સામેની દિશાએ એટલે કે ગુજરાત બાજુએ જતી દિશાએ જતી રહેતાં ત્યાં સ્પીડમાં આવી રહેલી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી. આ બસ રાજસ્થાન જવાની હતી. મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ બે લોકો હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.’


જાન્યુઆરીમાં ગુજરાતી પરિવાર વિખેરાયો હતો

આઠમી જાન્યુઆરીએ મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ચારોટી નજીક શ્રી મહાલક્ષ્મી મંદિર પાસેના પુલ પર બપોરના સમયે થયેલા અકસ્માતમાં નાલાસોપારાના એક ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં હતાં અને ચાર સભ્યો ઘાયલ થયા હતા. ખાડાથી બચવાના પ્રયાસમાં આ અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી હતી. સપ્ટેમ્બર મહિનામાં ચારોટી નાકા પાસે ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનો પણ અકસ્માત થતાં તેઓ મૃત્યુ પામ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 08:27 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK