મુંબઈ: સહાર વિલેજના રહેવાસીઓની સલામતી માટે માર્કેટને બહાર ખસેડાઈ
સહાર વિલેજના રહેવાસીઓ
કોવિડ-૧૯નો પ્રસાર રોકવા માટે લેવાયેલાં પગલાંઓ વચ્ચે સહાર વિલેજના રહેવાસીઓએ તેમનું આખું બજાર વિલેજની બહાર આવેલા બીએમસી પ્લેગ્રાઉન્ડમાં ખસેડ્યું છે.
ભૂતપૂર્વ નગરસેવક નિકોલસ અલ્મેડિયાની આ યોજનાને સહાર પોલીસની મદદથી વરિષ્ઠ ઇન્સ્પેક્ટર શશિકાંત માનેએ સહાર વિલેજનાં ૬૦૦૦ ઘરોમાં રહેતા ૭૦,૦૦૦કરતાં વધુ રહેવાસીઓના ભલા માટે આ યોજનાને અમલમાં મૂકી હતી. અગાઉ આ બજાર ગામની જ એક સાંકડી શેરીમાં ભરવામાં આવતું હતું. કાયમ હકડેઠઠ ભરાતા આ બજારમાં લોકોની સુરક્ષા જ અમારો ચિંતાનો વિષય હતો જેને કારણે અમે બજારના ૮૦.૦૦૦ ચોરસ ફુટના વિશાળ પ્લેગ્રાઉન્ડમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો એમ અલ્મેડિયાએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
તમામ ફેરિયાઓને એકમેકથી ચોક્કસ અંતર જાળવીને બેસવા સૅનિટાઇઝર્સ સાથે રાખવા તેમ જ માસ્ક પહેરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફળો અને શાકભાજીનો કચરો એક ચોક્કસ સ્થળે તૈયાર કરવામાં આવેલા સ્થાન પર સંગ્રહિત કરવા જણાવાયું હતું. આ બજારમાં બાળકો અને વૃદ્ધોને આવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી તેમ જ બજાર પર નજર રાખવામાં આવી રહી છે અને મનાઈ છતાં બજારમાં આવનારા આવા લોકોનો ફોટો પોલીસને મોકલી આપવામાં આવશે એવી ધમકી પણ આપવામાં આવી હતી. ફેરિયાઓ બ્લૅક બોર્ડ પર જણાવાયેલા વાજબી દરે ફળો અને શાકભાજી વેચવા સહમત થયા હતા. સાવચેતીનાં પગલાંઓ લઈને ચિકન અને માંસની દુકાનોને ગામમાં જ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી હતી. ખાનગી તબીબોના ક્લિનિક્સમાં બેઠકની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.