ટીચર્સ યુનિયને ગવર્નરને પત્ર લખવાની કરી તૈયારી : જો કોઈ કાર્યવાહી ન થઈ તો કેસ પણ કરશે
Mumbai University
મુંબઈ યુનિવર્સિટી રિસોર્સ સેન્ટરના ડિરેક્ટરની નિમણૂક બાબતે બબાલ
મુંબઈ ઃ મુંબઈ યુનિવર્સિટી ઍન્ડ કૉલેજ ટીચર્સ અસોસિએશન (એમયુકેટીએ-મુક્તા)એ મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પત્ર લખીને ૨૦૨૧માં યુનિવર્સિટીના નૉલેજ રિસોર્સ સેન્ટરના ડિરેક્ટરપદ પર નંદકિશોર મોતેવારની નિમણૂક ગેરકાયદે હોવાનું જણાવ્યું છે. ટીચર્સ યુનિયને આ બાબતે પગલાં લેવાની વિનંતી કરી છે અને ગવર્નરને પત્ર લખવાની તૈયારી કરવા ઉપરાંત જો કોઈ કાર્યવાહી ન થઈ તો કેસ દાખલ કરવા સુધી જવાની તૈયારી પણ દાખવી છે.
યુનિવર્સિટીના પદાધિકારીની નિમણૂક કરવાની પ્રક્રિયા મહારાષ્ટ્ર પબ્લિક યુનિવર્સિટી ઍક્ટ, ૨૦૧૬ની કલમ
૧૦૫ હેઠળ વર્ણવવામાં આવી છે. જોકે મુક્તાના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે નંદકિશોર મોતેવારની નિમણૂક આ વિભાગ અને પોસ્ટ માટે પ્રકાશિત જાહેરાતમાં ઉલ્લેખિત માપદંડોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી હતી.
પત્રમાં મુક્તાએ જણાવ્યું છે કે નંદકિશોર મોતેવારની પસંદગી કરવામાં આવી ત્યારે તેઓ ગડચિરોલીમાં ગોદવાણા યુનિવર્સિટી સાથે કેઆરસી ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. જાહેરાતની પ્રક્રિયા અનુસાર ઉમેદવારોએ યોગ્ય ચૅનલ (તેમના અગાઉના/વર્તમાન એમ્પ્લૉયર દ્વારા એનઓસી સાથે) દ્વારા અરજી મોકલવાની અપેક્ષા રાખવામાં આવતી હતી.
આરટીઆઇના માધ્યમથી મળેલી માહિતી મુજબ સ્ક્રૂટિની માટે સબમિટ કરેલી અરજી વ્યક્તિગત રીતે કરવામાં આવી હતી તથા એનઓસી જોડવામાં આવી નહોતી. અરજી અને ઉમેદવારને એનઓસી વિના લાયક જાહેર કરવામાં આવ્યાં હતાં. સમિતિએ નિયમો અને જાહેરાતના માપદંડોની અવગણના કરી અને ઉમેદવારીને લાયક બનાવી. વધુમાં ઉમેદવારોના શૈક્ષણિક પ્રદર્શન સૂચક (એપીઆઇ)ની તપાસ કરવામાં આવી ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.