‘ઔરંગાબાદમાં કોરોનાનું સંક્રમણ હજી ખાસ ઘટ્યું નથી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આવતા અઠવાડિયે સ્થિતિની સમીક્ષા કરીને પ્રવાસન સ્થળો અને સ્મારકો રીઓપન કરવાનો નિર્ણય લેશે.’
આદિત્ય ઠાકરે
રાજ્યના પ્રવાસનપ્રધાન આદિત્ય ઠાકરેએ બુધવારે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન આગામી સપ્તાહે રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે અને પ્રવાસન સ્થળો તથા સ્મારકો પુનઃ ખોલવા અંગેનો નિર્ણય લેશે.
પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘ઔરંગાબાદમાં કોરોનાનું સંક્રમણ હજી ખાસ ઘટ્યું નથી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આવતા અઠવાડિયે સ્થિતિની સમીક્ષા કરીને પ્રવાસન સ્થળો અને સ્મારકો રીઓપન કરવાનો નિર્ણય લેશે.’
ઔરંગાબાદ જિલ્લામાં વિશ્વપ્રસિદ્ધ અજંતા-ઇલોરાની ગુફાઓ આવેલી છે. પર્યાવરણ પોર્ટફોલિયો પણ સંભાળતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે ‘રાજ્ય પુનઃ પ્રાપ્ય સ્રોતો મારફત એની ૨૫ ટકા વીજ જરૂરિયાત સંતોષવાનો હેતુ ધરાવે છે. અમે નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પાસે ૨૫૦ મેગાવૉટનો સૌરઊર્જા પ્રોજેક્ટ ઊભો કરવાની યોજના ધરાવીએ છીએ.’
ડેક્કન ઓડિસી ટૂરિઝમ ટ્રેન પુનઃ શરૂ કરવા વિશે તેમણે કહ્યું હતું કે એ માટે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને ટ્રેનનું ભાડું પોસાય એવું રખાશે. સાથે જ આદિત્ય ઠાકરેએ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા ખામ રિવર રિવાઇવલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.