૯૯૦ વૃક્ષો બીજે વાવવાની બાબતે નાગરિકો પાસેથી સૂચનો મગાવાયાં
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ઉત્તર તરફના છેડાને જોડતા વર્સોવા-દહિસર કોસ્ટલ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પને કારણે ગોરેગામથી મલાડ વચ્ચે ૧૨૪૪ વૃક્ષો કાપવાં પડશે, જેમાંથી ૨૫૪ વૃક્ષો કાપીને દૂર કરવામાં આવશે અને ૯૯૦ વૃક્ષો કાપીને બીજે વાવવામાં આવશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ લીધેલા આ નિર્ણય બાબતે ૧૭ ઑક્ટોબર સુધી પબ્લિક પાસેથી સૂચનો મગાવવામાં આવ્યાં છે.
કોસ્ટલ રોડના આ પટ્ટા પર અત્યારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)માં ન આવતા હોય એવા વિસ્તારોમાં કામ શરૂ કરવામાં આવ્યું છે. CRZ ઝોનમાં કામ શરૂ કરતાં પહેલાં અમુક પરવાનગીઓ લેવી પડશે. BMCએ વૃક્ષો હટાવવા માટે ટ્રી ઑથોરિટી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે જ પબ્લિક નોટિસ પણ આપવામાં આવી છે. નાગરિકો દ્વારા કરવામાં આવેલાં સૂચનો પર ૧૭ ઑક્ટોબરે સુનાવણી કરવામાં આવશે.


