કહ્યું કે જળવાયુ પરિવર્તન માટે અમે સૌથી ઓછા જવાબદાર હોવા છતાં અમારે એનાં ગંભીર પરિણામો ભોગવવાં પડે છે
નેપાલે અમેરિકા અને ભારત સહિતના દેશો પાસેથી માગણી કરી ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના આબોહવા વળતરની
નેપાલે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક મદદ માગવાની પોતાની કૂટનીતિ સંપૂર્ણપણે બદલી નાખી છે. માનવીય સહાયને બદલે નેપાલે હવે દુનિયાના ટોચના ઔદ્યોગિક દેશો પાસે ક્લાઇમેટ કૉમ્પેન્સેશન એટલે કે આબોહવાના વળતરની માગણી શરૂ કરી છે. નેપાલના વિદેશપ્રધાન શિશિર ખનાલે સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક ગ્રીનહાઉસ વાયુ-ઉત્સર્જનમાં નેપાલનો ફાળો નહીંવત્ હોવા છતાં એને આબોહવાના પરિવર્તનનાં અત્યંત ગંભીર પરિણામો ભોગવવાં પડી રહ્યાં છે.
વિદેશપ્રધાને ચીન, અમેરિકા અને ભારતને સૌથી વધુ કાર્બન-ઉત્સર્જન કરતા દેશો ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ દેશોની ઐતિહાસિક જવાબદારી બને છે કે તેઓ નેપાલ જેવા દેશોને વળતર ચૂકવે. આ માટે નેપાલના નાણાપ્રધાને આંતરરાષ્ટ્રીય ભાગીદારોને સત્તાવાર રીતે વળતરના દાવાનો પત્ર પણ મોકલી દીધો છે. નેપાલે એને માત્ર દાન નહીં પરંતુ કાનૂની અને નૈતિક જવાબદારી ગણાવી છે.
ન્યુ યૉર્ક ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ નેપાલે આબોહવાના પરિવર્તનની અસરોનો સામનો કરવા માટે યુનાઇટેડ નેશન્સ (UN)ના સ્પેશ્યલ ફન્ડમાંથી તાત્કાલિક ૪૦,૦૦૦ કરોડ રૂપિયા (પાંચ અબજ ડૉલર)ની નાણાકીય સહાયની માગણી કરી છે. નેપાલના અધિકારીઓનું કહેવું છે કે જે દેશોએ આબોહવા બગાડવામાં સૌથી ઓછો ફાળો આપ્યો છે તેઓ જ આજે સૌથી વધુ કિંમત ચૂકવી રહ્યા છે.
ગઈ કાલે કાઠમાંડુના ગોકર્ણમાં ન ઓળખાયેલા મૃતદેહોની સામૂહિક દફનવિધિ કરતી વખતે દરેક શબ પાસે નંબર લખેલું કૂંડું મૂકવામાં આવી રહ્યું હતું, જેથી DNA ટેસ્ટિંગ પછી કોઈને અવશેષો સોંપવાના આવે ત્યારે સરળતા રહે.
