આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીને લઈને પાકિસ્તાન ચિંતામાં છે અને ભારતને સતત ધમકીઓ આપી રહ્યું છે.
અબ્દુલ બાસિત
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીને લઈને પાકિસ્તાન ચિંતામાં છે અને ભારતને સતત ધમકીઓ આપી રહ્યું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે ભારતના હુમલા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મને એમાં જરાય શંકા નથી કે ભારત કોઈ ને કોઈ કાર્યવાહી જરૂર કરશે. ભારત આજે નહીં તો કાલે, કાલે નહીં તો અઠવાડિયા બાદ પણ કાર્યવાહી તો કરશે જ, કારણ કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં બિહારમાં આ જાહેરાત કરી હતી કે તે જરૂર કાર્યવાહી કરશે. આપણે ભૂતકાળ જોયો છે કે ઉરીનો મામલો સામે આવ્યો એના તરત બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ભારતનું મીડિયા, આર્મી અધિકારી અને સંરક્ષણ નિષ્ણાતોનું માનીએ તો ભારત કોઈ ને કોઈ
હુમલો જરૂર કરશે. ભારતનો રેકૉર્ડ ક્લિયર છે કે એ આઠથી ૧૨ દિવસમાં જ કાર્યવાહી કરે છે. આ પૅટર્ન જોતાં પહેલી મેથી ૩ મે વચ્ચે ભારત કાર્યવાહી કરી શકે છે. જો ભારત આવી કોઈ કાર્યવાહી કરે તો પાકિસ્તાન પણ વળતો જવાબ આપશે. સિંધુ જળ વિના પાકિસ્તાનને ભારે તકલીફનો સામનો કરવો પડી શકે છે. પાણી ન મળવાને કારણે અનેક જિંદગી જોખમમાં મુકાઈ જશે અને જો દરિયામાં પાણી નહીં વહે તો લોહી વહેશે.’

