ભારતે ચિંતા વ્યક્ત કરી હતી કે આ સ્પાય જહાજથી ચીન ભારતનાં સૈન્ય-સંસ્થાનોની જાસૂસી કરી શકે, એટલે એને અટકાવવા જણાવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
કોલંબોઃ ભારતનાં વિરોધ અને ચિંતાને અવગણીને શ્રીલંકાની સરકારે પોતાને ત્યાં વિવાદાસ્પદ ચાઇનીઝ જહાજની એન્ટ્રી માટે ગઈ કાલે મંજૂરી આપી હતી. ભારતે ચિંતા વ્યક્ત કરી હતી કે આ જહાજથી ચીન ભારતનાં સૈન્ય-સંસ્થાનોની જાસૂસી કરી શકે છે.
યુઆન વૅન્ગ 5ને ઇન્ટરનૅશનલ શિપિંગ માટેનું રિસર્ચ અને સર્વે જહાજ ગણાવવામાં આવ્યું છે, પરંતુ એનો ઉપયોગ જાસૂસી માટે પણ કરવામાં આવી શકે છે. હિન્દ મહાસાગરમાં ચીનની વધતી જતી હાજરી અને શ્રીલંકા પર એના વધતા જતા પ્રભાવથી ભારતને આશંકા છે.
યુઆન વૅન્ગ 5 શરૂઆતમાં ૧૧ ઑગસ્ટે શ્રીલંકાના ચીન દ્વારા સંચાલિત હંબનટોટા પોર્ટ પહોંચવાનું હતું, પરંતુ ભારતે આ જહાજ શ્રીલંકા પહોંચે એની સામે વાંધો ઉઠાવ્યા બાદ શ્રીલંકાએ ચીનને આ જહાજને આગળ વધતું મોકૂફ રાખવા જણાવવામાં આવ્યું હતું.
આ પોર્ટના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે આ ચાઇનીઝ જહાજ શુક્રવારે રાત્રે શ્રીલંકાના દિક્ષણ-પૂર્વમાં લગભગ ૧૦૦૦ કિલોમીટરના અંતરે હતું. એ ધીરે-ધીરે હંબનટોટા પોર્ટ તરફ આગળ વધી રહ્યું છે.
યુઆન વૅન્ગ 5નો સ્પેસ અને સૅટેલાઇટ ટ્રૅકિંગ માટે ઉપયોગ કરી શકાય છે. એ સિવાય ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલેસ્ટિક મિસાઇલ લૉન્ચમાં પણ એનો ચોક્કસ ઉપયોગ થઈ શકે છે.
નોંધપાત્ર છે કે આર્થિક કટોકટીમાં મુકાયેલા શ્રીલંકાને ભારતે ખૂબ જ આર્થિક સહાય કરી હોવા છતાં એ ભારતની ચિંતાઓની અવગણના કરી રહ્યું છે. હંબનટોટા પોર્ટ એના લૉકેશનના કારણે વ્યૂહરચનાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. ચીન પાસેથી દેવું કરીને આ પોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે.