Operation Sindoor: ભારતના ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના પરિવારનો ખાતમો બોલાઈ ગયો છે, હવે તેના ભાઈ કંદહાર હાઇજેકના માસ્ટરમાઈન્ડ આતંકવાદી અબ્દુલ રઉફ અઝહર માર્રો હોવાના અહેવાલ છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારત (India)ના ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)માં જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammad)ના ચીફ આતંકવાદી મસૂદ અઝહર (Masood Azhar)ને જબરજસ્ત ઝટકો લાગ્યો છે. ભારતના હુમલામાં પહેલા જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના ૧૪ સભ્યો માર્યા ગયા હતા. હવે તેનો ભાઈ અબ્દુલ રઉફ અઝહર (Abdul Rauf Azhar) માર્યો ગયો છે.
જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતએ આતંકવાદને જડબાતોડ જવાબ આપવા મંગળવારે રાત્રે લગભગ ૧.૪૪ વાગ્યે, ભારતે પાકિસ્તાન (Pakistan) અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir)માં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. ભારતે આતંકવાદનો ખાત્મો કરવા માટે રાફેલ વિમાનનો ઉપયોગ કર્યો હતો અને પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ હુમલાઓમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) જેવા આતંકવાદી સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઓપરેશનમાં મુફ્તી અબ્દુલ રઉફ અઝહર (Abdul Rauf Azhar died) પણ માર્યો ગયો છે. અઝહર ૧૯૯૯ના કંદહાર હાઇજેક (Kandahar hijack)નો માસ્ટરમાઈન્ડ હતો.
ADVERTISEMENT
ચાલો જાણીએ કે કંદહાર હાઇજેક અને ભારતમાં આતંકવાદીઓમાં રઉફ અઝહરે કઈ ઘટનાઓમાં ભૂમિકા ભજવી હતી…
૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ હરકત-ઉલ-મુજાહિદ્દીન (Harkat-ul-Mujahideen)ના આતંકવાદીઓએ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-814નું હાઇજેક કર્યું હતું. આ ફ્લાઇટમાં ૧૯૦ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. વિમાનને કાઠમંડુથી દિલ્હી લાવવામાં આવી રહ્યું હતું, પરંતુ તેને અમૃતસર, લાહોર, દુબઈ થઈને તાલિબાન કબજા હેઠળના અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવ્યું. હાઇજેકરોએ ભારત સરકાર પર ત્રણ આતંકવાદીઓ મૌલાના મસૂદ અઝહર, ઓમર શેખ અને મુશ્તાક ઝરગરને મુક્ત કરવા દબાણ કર્યું. ભારતને આ આતંકવાદીઓને મુક્ત કરવાની ફરજ પડી હતી. આ હાઇજેકના કાવતરામાં મુફ્તી અબ્દુલ રઉફ અઝહર સામેલ હતો, જે મસૂદ અઝહરનો નાનો ભાઈ છે. તે જૈશ-એ-મોહમ્મદનો વાસ્તવિક નેતા હતો અને તેણે સંગઠનના ઘણા મોટા ઓપરેશનના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રઉફે લોજિસ્ટિકલ સપોર્ટ અને સંકલન સાથે હાઇજેકનું આયોજન કરવામાં મદદ કરી હતી.
IC-814 હાઇજેકિંગનું કાવતરું ઘડવામાં રઉફ અઝહરની ભૂમિકાએ અલ-કાયદા (al-Qaeda)ના મુખ્ય કાર્યકર્તા ઓમર સઈદ શેખ (Omar Saeed Sheikh)ની મુક્તિમાં સીધી મદદ કરી હતી. કંદહાર હાઇજેક પછી મુક્ત થયા પછી, મસૂદ અઝહરે પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો પાયો નાખ્યો, જેમાં રઉફે સંગઠનનું નાણાકીય અને સંચાલન કાર્ય સંભાળ્યું. ત્યારબાદ તેણે ભારતમાં સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો. આમાંની કેટલીક આતંકવાદી ઘટનાઓએ દેશને હચમચાવી નાખ્યો.
શેખે બાદમાં વોલ સ્ટ્રીટ જર્નલ (Wall Street Journal) માટે અમેરિકન-યહૂદી પત્રકાર ડેનિયલ પર્લ (Daniel Pearl)નું અપહરણ કરીને હત્યા કરી હતી. વર્ષ ૨૦૦૨માં પર્લની ક્રૂર હત્યાએ દુનિયાને આઘાત આપ્યો હતો. અમેરિકાએ ૨૦૧૦માં તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. અબ્દુલ રઉફ અઝહરના હુમલાના કાવતરાને કારણે ભારત અને પાકિસ્તાન ઓછામાં ઓછા બે વાર યુદ્ધની અણી પર આવી ગયા હતા. એક વખત સંસદ હુમલા દરમિયાન અને બીજી વખત CRPF કાફલા પર આત્મઘાતી હુમલા દરમિયાન. આ હુમલાઓના સંદર્ભમાં અબ્દુલ રઉફ અઝહર સામે ઘણી ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ પેન્ડિંગ હતી. ઇન્ટરપોલની એક નોટિસ મુજબ, અબ્દુલ રઉફ અઝહર ભારત સરકાર સામે યુદ્ધ છેડવા, અથવા તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરવા અથવા તેને ઉશ્કેરવા બદલ વોન્ટેડ હતો.
ઓપરેશન સિંદૂરમાં, ભારતીય સેનાએ બહાવલપુરમાં મરકઝ સુભાન અલ્લાહ કેમ્પને નિશાન બનાવ્યો, જે રઉફ અઝહરનું મુખ્ય ઠેકાણું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંદહાર હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ આ ઓપરેશનમાં માર્યો ગયો છે. અબ્દુલ રઉફ અઝહર જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ હેડ હતો. તે ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરાઓનો માસ્ટરમાઇન્ડ હતો અને પાકિસ્તાની સેના અને ISI સાથે નજીકથી કામ કરતો હતો. તેનું મૃત્યુ જૈશ માટે મોટો ફટકો છે, કારણ કે તે સંગઠનની રણનીતિ અને ભંડોળનો મુખ્ય આધાર હતો.

