ખેડૂતોનાં દેવાં માફ કરવા અને સહાય આપવા ઊઠી માગ : સતત બીજા દિવસે પણ વરસાદ : ગીર ગઢડામાં અઢી ઇંચ કમોસમી વરસાદ પડ્યો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેતીવાડીમાં ભારે નુકસાન થયું છે. વાવાઝોડા અને માવઠાને કારણે ઊભા પાકોનો સોથ વળી ગયો છે તો આંબા તેમ જ ચીકુનાં વૃક્ષો પરથી કેરી અને ચીકુ ખરી પડ્યાં છે. કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી માવઠાના મારથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ દેવાં માફ કરવા અને નુકસાનીમાં સહાય આપવાની માગ કરી છે.
ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં ૬૬ મિલીમીટર એટલે કે અઢી ઇંચ અને ઉનામાં ૧૧ મિલીમીટર કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે ગુરુવારે ગુજરાતના ૧૨૧ તાલુકાઓમાં માવઠું થયું હતું. ભારે પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ પડતાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમ જ દક્ષિણ ગુજરાતના જુદા-જુદા તાલુકાઓમાં થયેલા માવઠાને કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. ઘઉં, મકાઈ, બાજરી, અડદ, તલ, એરંડા, ચણા, બટાટા, કાંદા, મગ સહિતના પાકો તેમ જ કેરી, ચીકુ, પપૈયા સહિતનાં ફળોને પણ નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઊભો પાક પલળી ગયો હતો. ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવેલી કેટલીયે આંબાવાડીઓમાં આંબા પરથી કેરીઓ તેમ જ મોર ખરી પડ્યાં હતાં. ખેતરોમાં ઊભા પાકોને નુકસાન થતાં ખેડૂતોના માથે ફરી એક વાર સંકટ ઊભું થયું છે. ખેડૂતોએ કરેલી મહેનત પર વરસાદી પાણી ફરી વળતાં સરકાર વળતર આપે એવી માગ ખેડૂતોમાં ઊઠી છે.
