નાતાલના વેકેશનમાં રેકૉર્ડબ્રેક સહેલાણીઓ ઊમટ્યા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે : રવિવારે એક જ દિવસે ૮૦,૦૦૦ જેટલા પ્રવાસીઓ ઊમટ્યા : આ પહેલાં જન્માષ્ટમીએ ૬૮થી ૭૦ હજાર પ્રવાસીઓ એક જ દિવસમાં આવ્યા હતા
સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ઊમટેલા પ્રવાસીઓ.
અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બનેલા સરદાર પટેલ ડૅમ પાસે આવેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે નાતાલના વેકેશનમાં રેકૉર્ડબ્રેક સહેલાણીઓ ઊમટી પડ્યા હતા. રવિવાર અને સોમવાર એમ બે દિવસમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ સરદાર પટેલના શરણે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે આવ્યા હતા અને સરદારસાહેબની પ્રતિમા જોઈને દંગ રહી ગયા હતા. રવિવારે એક જ દિવસે ૮૦,૦૦૦ જેટલા પ્રવાસીઓ ઊમટ્યા હતા, જે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતેની અત્યાર સુધીની રેકૉર્ડબ્રેક પ્રવાસીઓની સંખ્યા બની છે.
સામાન્ય દિવસોમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી સોમવારે બંધ રહેતું હોય છે, પરંતુ નાતાલ સોમવારે હોવાથી અને પર્યટકોને શનિ, રવિ અને સોમવાર મળી ત્રણ દિવસ વીક-એન્ડ સાથે રજા મળી હોવાથી સોમવારે પણ મુલાકાતીઓ માટે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો હતો. રવિવારે અને સોમવારે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે હજ્જારોની સંખ્યામાં સહેલાણીઓ ઊમટતાં રેલવે-સ્ટેશનથી નર્મદા ડૅમ સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધી ૭૦થી વધુ બસો દોડાવવી પડી હતી અને એક-એક બસની ૨૦થી વધુ ટ્રિપ કરવામાં આવી હતી. પબ્લિક વધી જતાં પ્રશાસન તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ પણ વ્યવસ્થા મૅનેજ કરવા રોડ પર ઊતર્યા હતા. સહેલાણીઓમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, જંગલ સફારી, ન્યુટ્રિશન પાર્ક, નર્મદા ઘાટ હૉટ ફેવરિટ સ્થળ બન્યાં હતાં તેમ જ નર્મદા ઘાટ પર આરતીનો લહાવો પણ સહેલાણીઓએ લીધો હતો.
ADVERTISEMENT
સ્ટૅચ્યુ ઑફ યુનિટીનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં રવિવારે એક જ દિવસમાં ૮૦,૦૦૦થી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. આ પહેલાં એક જ દિવસમાં આટલા બધા પ્રવાસીઓ આવ્યા નથી. આ પહેલાં ૨૦૧૯માં જન્માષ્ટમીના દિવસે ૬૮થી ૭૦ હજાર પ્રવાસીઓ આવ્યા હતા, જે રેકૉર્ડ હતો. રવિવાર ઉપરાંત સોમવારે એક જ દિવસમાં ૭૫ હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. આમ બે જ દિવસમાં અહીં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. આટલા બધા પ્રવાસીઓ આવતાં રેલવે-સ્ટેશનથી નર્મદા ડૅમ સુધી ૪૨ રેગ્યુલર અને ૩૦ ઇલેક્ટ્રિક બસ દોડાવી હતી તેમ જ એસટી બસો પણ દોડાવી હતી. એક-એક બસે ઓછામાં ઓછી ૨૦ ટ્રિપ કરી હતી. હજ્જારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતાં વ્યવસ્થા સાચવવા માટે અધિકારીઓ-કર્મચારીઓ પણ બહાર આવ્યા હતા.’
