મોરારજી દેસાઈની ૧૨૯મી જન્મ જયંતીના વિશેષ દિવસે ગુજરાત વિદ્યાપીઠે લૉન્ચ કર્યો ‘વૈષ્ણવજન, સ્પંદન ગાંધી વિચાર કે’ રેડિયો
ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે રેડિયો લૉન્ચ કર્યો હતો એ સમયે તેમની સાથે વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ હાજર હતા.
અમદાવાદ : ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન મોરારજી દેસાઈની ગઈ કાલે ૧૨૯મી જન્મ જયંતીના વિશેષ દિવસે મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતના રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાપીઠનો પોતાનો ઇન્ટરનેટ રેડિયો લૉન્ચ કર્યો હતો. આ રેડિયોનું નામ ‘વૈષ્ણવજન, સ્પંદન ગાંધી વિચાર કે’ રાખવામાં આવ્યું છે. દાંડીયાત્રાના ખાસ દિવસથી આ ઇન્ટરનેટ રેડિયો ઑન ઍર થશે અને એમાં વિદ્યાર્થીઓ રેડિયો જૉકી હશે. આ રેડિયો દ્વારા ગાંધી વિચારને લઈને અનેકવિધ કાર્યક્રમો પ્રસારિત કરવાનું આયોજન હાથ ધરાયું છે.
ADVERTISEMENT
ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલપતિ અને ભારતના વડા પ્રધાન ભારત રત્ન મોરારજી દેસાઈની જન્મ જયંતી પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે ગઈ કાલે વિદ્યાપીઠના મુખ્ય સભાગૃહનું મોરારજી દેસાઈ મંડપમ્ નામાભિધાન કર્યું હતું. એ ઉપરાંત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું અને ગાંધી સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય એ હેતુથી વિદ્યાપીઠના પ્રવેશદ્વાર પાસે પુસ્તક ભંડારનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી રેડિયોના માધ્યમથી પહોંચે એ માટે શરૂ થનારા વિદ્યાપીઠનો ‘રેડિયો વૈષ્ણવજન’ લૉન્ચ કર્યો હતો.
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રેડિયો આગામી ૧૨ માર્ચે દાંડીયાત્રાના બાપુના વિશેષ દિવસથી શરૂ થશે. આ રેડિયોમાં ગાંધીજી સંદર્ભે કાર્યક્રમો યોજાશે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ રેડિયો જૉકી હશે. ગાંધીસંદેશને લઈને નવી વાતો હશે. મૂળ ગાંધી વિચાર પણ આજના સમય સાથે જોડીને કાર્યક્રમ ઑન ઍર થશે. પ્રાયોગિક તબક્કે આ રેડિયોનું પ્રસારણ સવારે ૭થી ૮ના સમય દરમ્યાન થશે.’ આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે કહ્યું કે ‘મોરારજીભાઈ દેસાઈ ગાંધીજીના સંપર્કમાં આવીને કલેક્ટરપદ છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ ગયા હતા. જીવનમાં ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરનાર મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન બન્યા હતા. તેઓ મૂલ્યનિષ્ઠ અને આદર્શ જીવન જીવ્યા હતા. ગાંધીજી અને મોરારજીભાઈ દેસાઈએ દાખવેલા આદર્શો અને મૂલ્યોના માર્ગે ગુજરાત વિદ્યાપીઠને પ્રગતિના પંથે લઈ જઈએ, એ જ તેમને સાચી અંજલિ કહેવાશે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)