૫૧ શક્તિપીઠની પરિક્રમાના માર્ગ પર બની રહેલા ડોમમાં લગાવાઈ રહી છે લોખંડની જાળી : ડોમ બન્યા પછી રાતે પરિક્રમાપથ પર જઈને લાઇટનો નઝારો માણી શકાશે
યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ગબ્બરને ફરતે બનાવેલી ૫૧ શક્તિપીઠ પરિક્રમાપથ પર ડોમ બની રહ્યો છે અને ડોમ બન્યા પછી રાતે પણ માઈભક્તો પરિક્રમાપથ પર જઈ શકશે એવી વ્યવસ્થા ઊભી થાય એ રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અંબાજી ગબ્બરને ફરતે ૫૧ શક્તિપીઠ બનાવી છે અને માઈભક્તો એની પરિક્રમા કરી શકે એ માટે પરિક્રમા-માર્ગ બનાવ્યો છે. પરિક્રમાનો આ માર્ગ ત્રણ કિલોમીટર લાંબો છે. આ માર્ગમાં ઉપરની સાઇડે ડોમ બનાવવાનું આયોજન હાથ ધરીને અત્યારે ડોમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડોમ લોખંડની જાળીથી બની રહ્યો છે. ડોમમાં લાઇટ તેમ જ સાઉન્ડ સિસ્ટમની સુવિધા પણ રખાશે. જેના પગલે માતાજીની ધૂન, ભજનો સાંભળતાં-સાંભળતાં અને સત્સંગ કરતાં-કરતાં માઈભક્તો પરિક્રમા કરી શકશે. લાઇટની સુવિધા થયા બાદ રાતે પણ લોકો પરિક્રમા-માર્ગ પર જઈ શકશે અને લાઇટનો નઝારો માણી શકશે.
