ગુજરાત હાઈકોર્ટે લવ જેહાદ કાયદાની અમુક કલમોની અમલવારી પર મનાઈહુકમ મૂકી દીધો છે
ગુજરાત હાઈકોર્ટ
લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.
હાઈકોર્ટે અવલોકન કર્યુ છે કે આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકશે નહી. હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું સાબિત થયા બાદ એફઆઈઆર થશે.
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ લવ-જેહાદ કાયદો લાવવામાં આવ્યો હતો. 15 જૂનથી આ કાયદો અમલી બન્યો છે. ગત વિધાનસભા સત્રમાં પસાર કરવામાં આવેલા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારે એનો વિધિવત અમલ શરૂ કર્યો હતો.
આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ હવે કોઇપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મપરિવર્તન કરાવશે અને ધર્મપરિવર્તનના હેતુથી લગ્ન કરશે એની સામે ગુનો દાખલ કરવામાં આવશે. સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને 2 લાખ સુધીના દંડની જોગવાઈ કરી છે. જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને 3 લાખ દંડની જોગવાઈ કરી છે.