કોરોના પછી બીજી મહામારી માટે વિશ્વ તૈયાર રહે : ડબ્લ્યુએચઓ
વિશ્વ આરોગ્ય સંગઠન
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ-હૂં)એ આખી દુનિયાને ચેતવણી આપી છે કે તેઓ બીજી મહામારી માટે તૈયાર રહે. કોરોના વાઇરસના સંક્રમણ અને એની અસરોને જોતાં ડબ્લ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ અધનોમ ગ્રેબેસીસે સોમવારે મોડી સાંજે જણાવ્યું હતું. ટેડ્રોસે એમ પણ કહ્યું હતું કે દુનિયાભરના દેશોએ આગામી મહામારી પહેલાં પબ્લિક હેલ્થમાં ઘણા પૈસાનું રોકાણ કરવું જોઈએ, નહીં તો કોરોના જેવી સ્થિતિની આશંકા છે. ડૉ. ટેડ્રોસે કહ્યું કે નોવેલ કોરોના વાઇરસના લીધે ૨.૭૧ કરોડ લોકો સંક્રમિત થયા અને ૮.૮૮ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે. કોવિડ-૧૯એ ફક્ત ડિસેમ્બર ૨૦૧૯થી અત્યાર સુધીમાં વિશ્વની આ સ્થિતિ બનાવી છે. હજી પણ ઘણા દેશોમાં એની ભયાનકતા વધી રહી છે. એને નિયંત્રિત કરવું મુશ્કેલ થતું દેખાઈ રહ્યું છે. ‘હૂં’ના પ્રમુખે જીનિવામાં એક પ્રેસ બ્રીફિંગ દરમ્યાન કહ્યું કે આ કોઈ છેલ્લી મહામારી નથી. ઇતિહાસ અનેક મહામારીઓનું સાક્ષી રહ્યું છે. આ મહામારીઓ જીવનની હકીકત છે.આ સમાપ્ત થતી નથી, પરંતુ દુનિયા પર બીજી મહામારી હુમલો કરે એની પહેલાં આપણે સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઈએ.