રેલવેના સ્ટાફ માટેની લોકલમાં ચિક્કાર ગિરદીનો વિડિયો વાઇરલ
રેલવેના કર્મચારીઓ ગિરદી કરીને ટ્રેનમાં પ્રવાસ કરતા જોવા મળ્યા હતા
રેલવે તંત્ર દ્વારા રેલવેના વર્કશૉપમાં કામ કરતા કર્મચારીઓ માટે દિવસમાં કેટલીક લોકલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયા બાદ કેટલાંક દિવસથી આ લોકલ ટ્રેનો શરૂ થઈ છે. મુંબઈ અને આસપાસના થાણે, નવી મુંબઈ અને દહાણુ સુધીના વિસ્તારમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાતા હોવા છતાં રેલવેના કર્મચારીઓ બેદરકારીથી ગિરદી કરીને પ્રવાસ કરતા જોવા મળ્યા હતા. સોશ્યલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરવાની સાથે કેટલાક કર્મચારીઓએ તો માસ્ક પણ ન પહેર્યાં હોવાનું વાઇરલ થયેલા વિડિયો અને ફોટોગ્રાફમાં જોવા મળ્યું હતું. રેલવેના ૩૦ ટકા કર્મચારીઓ જ કામ પર હાજર થયા હોવાનું જાણવા મળ્યું હતું. અમુક લોકોના પ્રવાસમાં જ આટલી ગિરદી અને લૉકડાઉનના નિયમોનું પાલન નથી થઈ રહ્યું તો જ્યારે સામાન્ય લોકો માટે ટ્રેન શરૂ થશે ત્યારે શું હાલત થશે અે વિચારીને ટેન્શન વધી જાય છે.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે ટ્રેનના વિડિયો અને ફોટોગ્રાફ વાયરલ થયા છે તે ક્યારના છે, સેન્ટ્રલ કે વેસ્ટર્ન રેલવેના છે કેમ અે ખ્યાલ નથી આવતો. અમે આ માટે તપાસ શરૂ કરી છે.’