દેશમાં બ્રિટિશ વાઇરસ સ્ટ્રેનના દરદીઓની સંખ્યા ૫૮ થઈ
પ્રતીકાત્મક તસવીર
રોગચાળામાં બ્રિટિશ વાઇરલ સ્ટ્રેન અથવા યુકે વેરિયન્ટ ઑફ SARS-CoV-2 તરીકે ઓળખાતા કોરોનાના તીવ્ર પ્રકારના વધુ ૨૦ દરદીઓ નોંધાતાં ભારતમાં એના કુલ દરદીઓની સંખ્યા ૫૮ પર પહોંચી છે. પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં પરીક્ષણ બાદ તીવ્ર અસર ધરાવતા નવા વાઇરસના દરદીઓ કન્ફર્મ થયા હતા. તે તમામ દરદીઓને સંબંધિત રાજ્યોની હેલ્થ કૅર ફેસિલિટીઝમાં સિંગલ રૂમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તે દરદીઓના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને પણ ક્વૉરન્ટીન કરવામાં આવી છે. તેમના સહપ્રવાસીઓ, કૌટુંબિક સંપર્કો અને અન્યોનું કૉન્ટૅક્ટ ટ્રેસિંગ ચાલી રહ્યું છે.
દરેક દરદીના વધારાના નમૂનાનું જેનોમ સીક્વન્સિંગ પણ કરાઈ રહ્યું છે. આરોગ્ય ખાતાએ પરિસ્થિતિ પર નિગરાણી રાખવા ઉપરાંત સર્વેલન્સ, કન્ટેનમેન્ટ અને ટેસ્ટિંગ ઉપરાંત લૅબોરેટરીઝને સૅમ્પલ્સ ડિસ્પૅચ કરવામાં તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.