બોર્ડની પરીક્ષાનો ગભરાટ દૂર કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે
દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ માંડ એકાદ અઠવાડિયું દૂર છે ત્યારે પરીક્ષામાં કેવા સવાલો પુછાશે અને કેટલા માર્ક્સ આવશે, એના ગભરાટ અને ચિંતા દૂર કરવા માટે નૅશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ તરફથી સોશ્યલ મીડિયા પર નવા ઉપક્રમો શરૂ કરવામાં આવ્યા છે. ચાઇલ્ડ રાઇટ્સ કમિશને એના ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ્સ @NCPCR Official, @NCPCR_ થી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવા શાળાઓને અનુરોધ કર્યો છે.
કમિશનના ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ પર વિદ્યાર્થીઓની સમસ્યાઓના ઉકેલ માટે નિષ્ણાતો અને માનસશાસ્ત્રીઓ ઉપલબ્ધ રહેશે. કમિશને સમગ્ર દેશ માટે શરૂ કરેલા આ નવા ઉપક્રમને પરીક્ષા પર્વ નામ આપ્યું છે. મુંબઈના શિક્ષણ વિભાગે ગઈ છઠ્ઠી ફેબ્રુઆરીએ નિર્દેશ બહાર પાડ્યો હતો. એ આયોજનના ભાગ રૂપે શિક્ષકોને પણ માનસિક તાણ ધરાવતા વિદ્યાર્થીઓને પારખીને એમને મદદ કરવાની તાલીમ આપવામાં આવશે.