પુણેમાં કોરોના પર નિયંત્રણ માટે મુંબઈ પાલિકાના કમિશનરની મદદ લેવાશે
ઇકબાલ સિંહ ચહલ
મુંબઈમાં ધારાવી સહિત અનેક વિસ્તારોમાં કોરોના ઇન્ફેક્શનના કેસ ઘટાડવા અને રોગચાળાને નિયંત્રિત કરવામાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખતાં પુણે શહેરમાં રોગચાળાવિરોધી કાર્યવાહીમાં મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલની મદદ લેવાઈ રહી છે. મુંબઈમાં ધારાવી તેમ જ માનખુર્દ-ગોવંડી-ચેમ્બુર જેવા વિસ્તારોમાં રોગચાળાની સ્થિતિ ચિંતાજનક હતી, પરંતુ ત્યાં ઝડપથી કોરોના કેસ અને ડબલિંગ રેટ ઘટાડી શકાયા છે. એ પદ્ધતિ પુણેમાં અજમાવવાના ઇરાદે ઇકબાલસિંહ ચહલનાં માર્ગદર્શન અને સલાહ લેવાઈ રહ્યાં છે.
પુણેમાં રોગચાળાની સ્થિતિ બાબતે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે યોજેલી બેઠકમાં ઇકબાલસિંહ ચહલની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં પુણેના જિલ્લા કલેક્ટર નવલકિશોર રામ અને ડિવિઝનલ કમિશનર દીપક મ્હૈસકર સહિત મહત્ત્વના અધિકારીઓ હાજર હતા. એ બેઠકમાં મુંબઈમાં જે રીતે તાત્કાલિક જરૂરિયાત માટેની હંગામી હૉસ્પિટલો ઊભી કરવામાં આવી એ રીતે પુણેમાં પણ હૉસ્પિટલો ઊભી કરવાનો આદેશ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આપ્યો હતો.