સુશાંત કેસની તપાસ પૂરી થઈ નથી : સીબીઆઇ
સુશાંત સિંહ રાજપૂત
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુના કેસની તપાસ હજી અધૂરી હોવાનું અને હજી કેટલાંક તથ્યોની તપાસ ચાલતી હોવાનું સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન્સ (સીબીઆઇ)એ જણાવ્યું હતું. સુશાંત કેસની તપાસ પૂરી થઈ ચૂકી હોવાની ચર્ચા ચાલતી હતી. સુશાંતના મૃત્યુની બાબતમાં કાવતરા કે ગુનાહિત ગોલમાલની શક્યતા દર્શાવતી કડી સીબીઆઇને મળી નથી. તપાસ અધિકારીઓ ટૂંક સમયમાં પટનાસ્થિત સીબીઆઇ કોર્ટમાં તપાસનો રિપોર્ટ રજૂ કરશે.
૮ ઑક્ટોબરે બપોર પછી સુશાંત સિંહના બનેવી અને ફરિદાબાદના પોલીસ કમિશનર ઓ.પી. સિંહ તેમ જ સુશાંતની બહેન નીતુની પૂછપરછ કર્યા બાદ સીબીઆઇની તપાસ પૂરી થયાની વાતો ઊડી હતી, એથી કેન્દ્રીય તપાસ સંસ્થાને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. દરમ્યાન બીજેપીના રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે સુશાંતના મૃત્યુની તપાસ સંબંધી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ની જાણકારી આરોગ્ય મંત્રાલયને આપી નહોતી. સ્વામીએ સવાલ ઉઠાવ્યો હતો કે AIIMSની ટીમે પોસ્ટમૉર્ટમ કર્યું હતું કે ફક્ત કૂપર હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રિપોર્ટને આધારે અભિપ્રાય આપ્યો હતો?