સુશાંત આત્મહત્યા કેસ: શું સંદીપ સિંહ ભારત છોડવાની તૈયારી કરી રહ્યો છે?
સંદીપ સિંહ અને સુશાંત સિંહ રાજપૂત
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ફ્રેન્ડ અને બૉલીવુડ પ્રોડ્યુસર સંદીપ સિંહ ભારત છોડી લંડન જવાની તૈયારી કરી રહ્યો છે. ગઈ કાલે સુશાંતના ફૅમિલી ફ્રેન્ડ નીલોત્પાલ મૃણાલે સંદીપની સરનેમ જણાવ્યા વગર તેના પર આરોપ લગાવ્યા હતા. નીલોત્પાલે કહ્યું કે ‘આ મહિનાના અંતમાં સંદીપ ભારત છોડીને લંડન જવાની તૈયારી કરી રહ્યો છે. વિઝા અને દરેક પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે. કોઈકે મને આ મેસેજ મોકલ્યો. એજન્સીઓ ઘણી હાઈ અલર્ટ છે અને કોઈને પણ દેશ છોડીને જવાની પરવાનગી નથી આપી રહી.’
કેમ વારંવાર દુબઈ જતો હતો સંદીપ સિંહ?
ADVERTISEMENT
સુશાંત આત્મહત્યા કેસમાં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી પણ રોજ નવા આરોપ મૂકી રહ્યા છે. ગઈ કાલે તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે તેનો મિત્ર સંદીપ સિંહ કેટલી વખત દુબઈ જતો હતો એની તપાસ કરવી જોઈએ. આ ઉપરાંત અન્ય ટ્વીટમાં જણાવ્યું હતું કે સુશાંતની ઑટોપ્સીમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવ્યો હતો જેથી ઝેર તેના સમગ્ર શરીરમાં ફેલાઈ જાય એટલું જ નહીં, સંદીપ સિંહે તેની લાશને લઈ જનાર ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરને પણ બેથી ત્રણ વાર ફોન કર્યા હતા એ શા માટે એનું કારણ પણ જાણવું જોઈએ?
નીલોત્પાલે એવો પણ આરોપ લગાવ્યો કે સીબીઆઇએ આ કેસમાં હજી સુધી સંદીપ સિંહની પૂછપરછ નથી કરી. ઘણાનું એમ પણ કહેવું છે કે સંદીપ દુબઈ જતો રહ્યો છે અને ત્યાંથી લંડન જવા માટે બધી રીતે તૈયાર થઈ ગયો છે.
સુશાંતના રૂમ-પાર્ટનર અને કૂકને સીબીઆઇએ ફરીથી બોલાવ્યા
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તપાસ કરવા માટે સીબીઆઇએ તેના ફ્લૅટમેટ સિદ્ધાર્થ પિથાની, કૂક નીરજ સિંહ અને દીપેશ સાવંતને ફરી પાછા પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ ત્રણે લોકો ગઈ કાલે સવારે કાલીના-સાન્તાક્રુઝમાં આવેલી સીબીઆઇની ઑફિસે પહોંચ્યા હતા. ૧૪ જૂને જ્યારે સુશાંતની લટકતી બૉડી તેના રૂમમાંથી મળી આવી ત્યારે આ ત્રણે હસ્તીઓ ત્યાં હાજર હતી. મુંબઈ પોલીસની એક ટીમ પણ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી હતી. સીબીઆઇની ટીમે રાજપૂતના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને પણ બોલાવ્યા હતા. સીબીઆઇની ટીમે આ ઉપરાંત મુંબઈના એ રિસૉર્ટની પણ પૂછપરછ કરી હતી જ્યાં સુશાંતે કેટલાક મહિના વિતાવ્યા હતા. શુક્રવારે સીબીઆઇએ પિથાની અને નીરજના સ્ટેટમેન્ટ નોંધ્યાં હતાં. ૧૪ જૂને વાસ્તવમાં જ્યારે સુશાંતના આત્મહત્યાના સમાચાર આવ્યા ત્યારે આ ત્રણે કેવી પરિસ્થિતિમાં હતા એ વાતની જાણકારી મેળવવા તેમને સુશાંતના ફ્લૅટ પર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એવી કૃત્રિમ પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી હતી.
મુંબઈ પોલીસના બે અધિકારીઓને પૂછપરછ માટે સીબીઆઇનું તેડું
અભિનેતા સુશાંત સિંહના અપમૃત્યુના કેસમાં પૂછપરછ માટે ગઈ કાલે સીબીઆઇએ ઇન્સ્પેક્ટર ભૂષણ બેલનેકર અને સબ ઇન્સ્પેક્ટર વૈભવ જગતાપને બોલાવ્યા હતા. બે અઠવાડિયાં પહેલાં બન્નેના કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવતાં એમને ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. ઇન્સ્પેક્ટર ભૂષણ બેલનેકરને થોડા દિવસ પહેલાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરની સલાહ મુજબ એમને ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
સીબીઆઇ સુશાંત કેસમાં પૂછપરછ માટે સિનિયર ઇન્સ્પેક્ટર્સ અને એનાથી ઉપરના સ્તરના પોલીસ અધિકારીઓને પણ આગામી દિવસોમાં બોલાવે એવી શક્યતા મુંબઈ પોલીસે દર્શાવી હતી.
રિયા ડ્રગ્સ લે છે?
ઈડીના અધિકારીઓને રિયા ચક્રવર્તીની વૉટ્સઍપ-ચૅટની વિગતો મળી છે જેમાં અભિનેત્રી પર ડ્રગ્સના સેવન તથા એના ડીલિંગનો આરોપ લગાવાયો છે. આ બે આરોપીની વિગતો રિયાની ચૅટના આધારે મળી છે. આમ સુશાંત આત્મહત્યા કેસમાં આ એક નવો વળાંક જોવા મળ્યો છે.