સુશાંત કેસમાં ૧૪૫ દિવસે સીબીઆઇનો ખુલાસો, હત્યાની પણ શક્યતા ખરી
સુશાંત સિંહ રાજપૂત
ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતના મરણના કારણની તપાસ કરી રહેલી સીબીઆઇએ ૧૪૫ દિવસ બાદ કહ્યું હતું કે આ કેસના તમામ પાસાંનો તે અભ્યાસ કરી રહી છે તેમ જ હત્યા સહિતની કોઈ પણ શક્યતાને નકારી શકાય નહીં. દિલ્હી એઇમ્સના ડોક્ટરોએ ઓક્ટોબર મહિનામાં એવું કહયું હતું કે સુશાંતની હત્યા કરાઈ નથી આ આત્મહત્યાનો કેસ છે. તેથી તેના મરણને લઈને ઍક્ટરના પરિવાર તેમજ વકીલોએ કરેલા ઝેર આપીને મારી નાંખવાના દાવાને નકાર્યા હતા.
બીજેપીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાનની ઓફિસને પત્ર લખી આ કેસની તપાસની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી માગી હતી. ત્યારબાદ વડા પ્રધાન કાર્યાલય દ્વારા સીબીઆઇને પત્ર લખવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સ્વામીના પત્રનો જવાબ આપતા સીબીઆઇએ કહ્યું હતું કે તમામ શક્યતાને આધારે તપાસ કરવામાં આવી રહી છે. હાલની એડવાન્સ મોબાઈલ ફોરેન્સિક સાધનનો પણ પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કેસ માટે સેલ ટાવરના લોકેશનના ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમામ સાક્ષીઓની ઊલટતપાસ કરવામાં આવી રહી છે. જેમાં ફરિયાદી અને એક્ટરના પરિવારના સભ્યોએ ઉભા કરેલા સવાલોના જવાબ પણ શોધવામા આવી રહ્યા છે. તપાસ કરનારી ટીમોએ અલીગઢ, ફરિદાબાદ, હૈદરાબાદ, મુંબઈ અને પટના જેવા સ્થળોની પણ મુલાકાત લીધી છે.