સુશાંત પાસે કોઈ LIC પૉલિસી નહોતી,ચૅનલો જુઠ્ઠાણું ચલાવે છે:વકીલનો ખુલાસો
સુશાંત સિંહ રાજપૂત
સુશાંતસિંહ રાજપૂતના પિતા કે. કે. સિંહના વકીલ વિકાસ સિંહે બુધવારે જણાવ્યું હતું કે માધ્યમોનો એક વર્ગ એવી પાયાવિહોણી અફવા ફેલાવી રહ્યો કે સુશાંત લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી ધરાવતો હતો અને જો સુશાંતે આત્મહત્યા કરી હોય તો તેના પરિવારને પૉલિસીના પૈસા નહીં મળે. આ થિયરી સત્યથી તદ્દન વેગળી છે અને સુશાંત પાસે કોઈ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી નહોતી.
મીડિયામાં કેટલીક ચૅનલો એવો પ્રચાર કરી રહી છે કે સુશાંત પાસે લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી હતી અને જો સુશાંતસિંહે આત્મહત્યા કરી હોય તો પૉલિસીના પૈસા પરિવારને નહીં મળે અને આથી તેના પરિવારે પૈસા મેળવવા માટે તેને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરાયો હોવાની થિયરી વહેતી કરી છે એવું ચૅનલો દ્વારા જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે અને સુશાંત પાસે કોઈ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી નહોતી એવું વિકાસ સિંહે પત્રકારોને જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ અફવા સુશાંતના પરિવારને બદનામ કરવા માટે ફેલાવાઈ રહી છે અને જો ચૅનલોએ આ કૅમ્પેન ચાલુ રાખ્યું તો અમને ચૅનલ
વિરુદ્ધ પગલાં ભરવાની ફરજ પડશે એમ સિંહે જણાવ્યું હતું.
એનસીબીની રિમાન્ડ અરજીમાં રિયા અને શૌવિક ડ્રગ-પેડલર સાથે સંકળાયાં હોવાનો ઉલ્લેખ નથી
સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ સંદર્ભે નાર્કોટિક ઍન્ગલની તપાસ કરી રહેલી નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરોએ ગુરુવારે કોર્ટમાં ડ્રગ-પેડલર ઝૈદ વિલાતરાના રિમાન્ડ માટે અરજી કરતી વખતે કહ્યું છે કે તેઓ ડ્રગ-રૅકેટની તપાસ કરવા માગે છે એથી તેની રિમાન્ડ અરજી મંજૂર કરાઈ હતી. કોર્ટે તેમની અરજી મંજૂર રાખી ઝૈદને ૭ દિવસના એનસીબી રિમાન્ડ મંજૂર કર્યા છે. એનસીબીએ કોર્ટમાં કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેઓ ડ્રગ-ઍન્ગલની તપાસ કરી રહ્યા છે. મુંબઈ અને ખાસ કરીને બૉલીવુડમાં ડ્રગ-રૅકેટ સંદર્ભે ઝીણવટભરી તપાસ કરવી જરૂરી છે. જોકે રિમાન્ડ કૉપીમાં ક્યાંય પણ રિયા ચક્રવર્તી કે તેના ભાઈ શૌવિકના નામનો ઉલ્લેખ કરાયો નથી કે જેમણે ઝૈદ પાસેથી ડ્રગ મેળવ્યું હોવાનું કહેવાય છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે આપેલી માહિતી મુજબ શૌવિકે સુશાંતના મૅનેજર સૅમ્યુઅલ મિરાન્ડાને ઝૈદનો નંબર આપીને કહ્યું હતું કે તેની પાસેથી પાંચ ગ્રામ ડ્રગ લીધું છે એથી તેને ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવા કહ્યું હતું.