સુધીર મુનગંટીવારને અઠવાડિયામાં શિવસેના સાથે સરકાર રચવાનો વિશ્વાસ
સુધીર મુનગંટીવારે
બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે એક અઠવાડિયામાં સરકાર રચવાનો આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો. શિવસેનાના સહયોગની ખાતરી સાથે મુનગંટીવારે જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ શાસનની વાત ધમકી નહીં, પણ બંધારણીય જોગવાઈનો ઉલ્લેખ હતો. વિધાનસભાની મુદત પૂરી થાય ત્યાર પછી પણ સરકાર ન રચાય તો રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈ છે. વાઘ (શિવસેના) ગર્જના કરતો હોય તો હું જંગલ ખાતાનો પ્રધાન છું. વાઘને કેવી રીતે સાચવવો એ અમે જાણીએ છીએ.’
ગઈ કાલે ચંદ્રપુરમાં પ્રસાર માધ્યમો સાથેની વાતચીતમાં સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘૧૦ નવેમ્બર પૂર્વે મહાયુતિની સરકાર સૂત્રો સંભાળી લેશે. છઠ્ઠી કે સાતમી નવેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાવાની પૂરેપૂરી શક્યતા છે. જનાદેશને માન આપવાની બીજેપી અને શિવસેનાની ફરજ છે. પ્રધાનપદની વહેંચણીના નિર્ણયો ચર્ચા દ્વારા લઈ શકાય છે. બીજેપી મંત્રણા માટે તૈયાર છે.’