31 ઑક્ટોબરે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠ, અડધાથી વધુ કામ બાકી
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ છે બાકી
૩૧ ઑક્ટોબરે સ્ટૅચ્યુ ઑફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પૂરું થતું હોઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઊજવવા રાજ્ય સરકાર થનગની રહી છે ત્યારે ૩૧ ઑક્ટોબરે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની આસપાસ ઊભા કરવામાં આવી રહેલા ૩૦ જેટલા પ્રોજેક્ટનું પી.એમ. નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનાર હતું. જોકે હાલમાં આ તમામ પ્રોજેક્ટોની કામગીરી હજી અધૂરી હોઈ કાર્યક્રમ રદ કરવામાં આવે એવાં એંધાણ સર્જાયાં છે.
જંગલ સફારીમાં ૧૮૦૦થી વધુ પ્રાણીપક્ષીઓ લાવવાનાં છે. હજી એના માટે ઘર બન્યાં નથી. હજી ૨૦૦થી વધુ એકરોમાં કામગીરી કરવાની છે. આ જંગલી પ્રાણીઓની જાળવણી અને કાળજી રાખવાની છે ત્યારે એની સામે પ્રવાસીઓની સુરક્ષા પણ જરૂરી હોઈ ઉતાવળે કામગીરીમાં જો ગુણવત્તા જાળવી ન શકાય તો મોટી મુશ્કેલી થાય એમ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ટિકિટ બારીઓ થઈ બંધ, ઑનલાઈન બુકિંગ થયું ફરજિયાત
સ્ટૅચ્યુ પર હાલ ૩૦ જેટલા પ્રોજેક્ટ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે, પરંતુ ઉતાવળમાં ગુણવત્તા ન જળવાતી હોવાનું ઉદાહરણ સ્ટૅચ્યુ પાસે બનતા ડાયનોસૉર પાર્કમાં મળ્યું હતું. આ મહાકાય ડાયનોસૉર પોતાની ઊંચાઈ ન વેઠી શક્યો અને કડડભૂસ થઈ નીચે પડ્યો હતો. આગામી ૩૧ ઑક્ટોબરે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની વર્ષગાંઠ હોઈ પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા ગુજરાત સરકારની ટીમો રાતદિવસ કામે લાગેલી છે. વિવિધ ૩૦ પ્રોજેક્ટો બનાવવાની કામગીરી ચાલે છે ત્યારે એક આકર્ષણ ડાયનોસૉર પાર્ક ઊભો કરવામાં આવી રહ્યો છે.