અફઝલ ખાન-ઔરંગઝેબને પણ અમે પટકી પાડ્યા હતા, મહારાષ્ટ્રીયનોને ઓછા ન સમજશો
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે લાતુરમાં કરેલા હુંકારના ગઈ કાલે જોરદાર પડઘા પડ્યા હતા. અમિત શાહે સાથી સાથે આવે તો જિતાડીશું, નહીં તો પટકી નાખીશું એવું કહ્યું એનો જવાબ આપતાં ગઈ કાલે શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે અફઝલ ખાન અને ઔરંગઝેબને પટકી નાખનારા મહારાષ્ટ્રીયનો તમને પટકી પાડશે. જોકે જે રીતે તરત જ શિવસેનાના સિનિયર લીડરોની મીટિંગ બોલાવવામાં આવી હતી એના પરથી તેમનો ગભરાટ સ્પષ્ટ થયો હતો. આ બેઠકમાં યુતિ થાય અને ન થાય એ બન્ને સંજોગોમાં પક્ષના વલણની ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહના આખા ભાષણની ઑડિયો-વિડિયો ટેપ મગાવીને એનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વીટ કરીને અમિત શાહને જવાબ આપતાં કહ્યું હતું કે ‘શિવસેનાનું કાળજું વાઘનું છે અને અમે પોકળ ધમકીઓથી ડરતા નથી. મહારાષ્ટ્રીયનો ગાંડુની ઓલાદ નથી એ સિદ્ધ કરવાનો સમય આવી ગયો છે. અફઝલ ખાન અને ઔરંગઝેબને અમે જ પટકી નાખ્યા હતા એ આટલું જલદી ભૂલી ગયા?’
ADVERTISEMENT
અમે તો એક વર્ષ પહેલાં એકલા લડવાનું એલાન ગોરેગામના મેદાનમાં કર્યું હતું એમ જણાવીને સંજય રાઉતે કહ્યું હતું કે ‘અમે પહેલાં મંદિર પછી સરકારની વાત કરી એટલે ભાજપને મરચાં લાગ્યાં છે. લોકસભામાં ૪૦ સીટનો ટાર્ગેટ આપીને ઈવીએમસાથે ગઠબંધન કરશે એમ લાગી રહ્યું છે. અમે ના કહ્યું હોવા છતાં તેઓ રોડ રોમિયોની જેમ અમારી પાછળ પડ્યા છે. આવી રીતે કોઈની પાછળ પડવું એ ગુનો છે. ભાજપ મશ્કરી ઊડશે. હવે કેમ ખોટું લાગી રહ્યું છે? અમારી ભૂમિકા સ્પષ્ટ છે. શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રીય કાર્યકારિણી નક્કી કરી છે. શિવસેનાની કોઈ વ્યક્તિ નારાજ નથી. અમારો પક્ષ આદેશો પર ચાલે છે.’
શિવસેનાના પ્રવક્તા નીલમ ગોરેએ કહ્યું હતું કે ‘અમિત શાહની વાતથી સ્પષ્ટ થાય છે કે જે લોકો હિન્દુત્વમાં વિશ્વાસ રાખે છે તેમની સાથે ભાજપ જવા માગતી નથી. પાંચ રાજ્યોમાં આવેલાં ચૂંટણી-પરિણામોથી સ્પષ્ટ થાય છે કે ભાજપનું પતન શરૂ થઈ ગયું છે. હવે તેમની ઇચ્છા છે તો સામસામે આવી જવા દો. અમે પણ તેમને ટક્કર આપવા તૈયાર છીએ. અમારા રસ્તામાં આવશે તો શિંગડા પર ઉઠાવીને ફેંકી દઈશું.’
આ પણ વાંચોઃ અગર યુતિ હોગી તો સાથી કો જિતાએંગે નહીં તો પટક દેંગે
દેશ ત્રિશંકુ લોકસભા તરફ વધી રહ્યો છે એમ જણાવતાં શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ‘કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ત્રિશંકુ લોકસભાની રાહ જોઈ રહ્યા છે. હવે નરેન્દ્ર મોદીનું કદ ઓછું થઈ રહ્યું છે, જ્યારે રાહુલ ગાંધીનું કદ વધી રહ્યું છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને મળેલો પૂર્ણ બહુમત વેસ્ટ ગયેલા ચાન્સ જેવો છે. ત્યારે જનતાએ નક્કી કર્યું હતું કે કૉન્ગ્રેસને હરાવવી છે. હવે પરિસ્થિતિ અલગ છે.’