Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > છાપકામ આવ્યું, પુસ્તકો લાવ્યું પુસ્તકો આવ્યાં, નવું શિક્ષણ લાવ્યાં

છાપકામ આવ્યું, પુસ્તકો લાવ્યું પુસ્તકો આવ્યાં, નવું શિક્ષણ લાવ્યાં

21 September, 2019 01:27 PM IST | મુંબઈ
ચલ મન મુંબઈ નગરી - દીપક મહેતા

છાપકામ આવ્યું, પુસ્તકો લાવ્યું પુસ્તકો આવ્યાં, નવું શિક્ષણ લાવ્યાં

છાપકામ આવ્યું, પુસ્તકો લાવ્યું પુસ્તકો આવ્યાં

છાપકામ આવ્યું, પુસ્તકો લાવ્યું પુસ્તકો આવ્યાં


સાંદિપની ઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત,

તેને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત



તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે,


પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ સુદામા પાસે આવે

(કવિ પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત્ર’)


એટલે કે જ્યાં એક વડો વિદ્યાર્થી શિક્ષકના સહાયક તરીકે કામ કરતો હોય, જ્યાં છોકરાઓ પાટી પર લખતાં શીખતા હોય, અને પોતે લખેલું વડા વિદ્યાર્થીને બતાવતા હોય એવી નિશાળો કૃષ્ણ-સુદામાના જમાનામાં હોય કે ન હોય, પણ પ્રેમાનંદના જમાનાના ગુજરાતમાં તો હતી જ. અલબત્ત, ૧૯મી સદીમાં તેમાં સાંદિપની ઋષિ જેવા ‘અધ્યાપક અનંત’ ભાગ્યે જ ભણાવતા. થોડું લખી, વાંચી, ગણી શકતા હોય તેવા બ્રાહ્મણો તેમાં ઉપલા વર્ણના છોકરાઓને ભણાવતા. છોકરીઓને પણ નિશાળે મોકલી શકાય એવો તો ત્યારે કોઈને વિચાર પણ નહોતો આવતો. ઓગણીસમી સદીની પહેલી બે પચ્ચીસી સુધી આવી નિશાળો બોમ્બે પ્રેસિડેન્સી – મુંબઈ ઇલાકાનાં શહેરોમાં અને કેટલાંક ગામડાંઓમાં ફેલાયેલી હતી. પણ છાપકામ આવ્યું એને પગલે છાપાં અને પુસ્તકો આવ્યાં. અને છાપેલાં પુસ્તકોને પગલે આવ્યું બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ.

ઓગણીસમી સદીના આરંભે હજી દેશમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. પણ એ રાજવટ ચાલુ રાખવા માટેની મંજૂરી કંપનીએ વખતોવખત બ્રિટનની પાર્લામેન્ટ પાસેથી મેળવવી પડતી અને દરેક વખતે મંજૂરી આપતાં પહેલાં પાર્લામેન્ટ નવી શરતો ઉમેરતી. ૧૭૯૩માં જ્યારે કંપની સરકારનો પરવાનો રિન્યૂ કરવાનો થયો ત્યારે સરકાર પોતાની આવકનો એક નાનકડો હિસ્સો ‘દેશીઓ’ – નેટીવ્ઝ – ના શિક્ષણ પાછળ ખર્ચે એવી કલમ ઉમેરવાની હિમાયત કેટલાક સજાગ અંગ્રેજોએ કરેલી. પણ તે વખતે તેમને સફળતા ન મળી. પછી ૧૮૧૩માં જ્યારે પરવાનો રિન્યૂ કરાવવાનો થયો ત્યારે કંપની સરકારે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ‘દેશીઓ’ના શિક્ષણ માટે અને તેમના સાહિત્યના ઉત્કર્ષ માટે ખરચવા એવી કલમ ઉમેરવાનું શક્ય બન્યું. આ એક લાખ રૂપિયાની રકમ આખા બ્રિટિશ ઇન્ડિયા માટે હતી, માત્ર બોમ્બે પ્રેસિડેન્સી માટે નહિ. પણ આ કલમનો લાભ લઈને શિક્ષણ માટે એક સોસાયટી ઊભી કરવાની પહેલ બોમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજોએ કરી. ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં લાંબુંલચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખતમાં જ આ લાંબુંલચક નામ બદલીને તેનું ટૂંકું નામ રખાયું: ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’ તેના બીજા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આખા હિન્દુસ્તાનમાં આ પ્રકારની આ પહેલી અને એક માત્ર સોસાયટી છે. વળી તે ખાનગી દાનને આધારે જ ચાલતી હતી. શરૂઆતમાં તેને સરકારની આર્થિક મદદ મળતી નહોતી. અલબત્ત, તે વખતે તેનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓને માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઈ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. પણ પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને પણ વાજબી ફી લઈને દાખલ કરવા. બંને નિશાળમાં ભણતા ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે ચર્ચ ઓફ ઇંગ્લૅન્ડ પુરસ્કૃત ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત હતું, પણ દેશી વિદ્યાર્થીઓ ઉપર ધાર્મિક શિક્ષણ અંગે કોઈ પ્રકારનું દબાણ લાવવું નહિ એમ ઠરાવાયું હતું. ૧૮૧૮ના જાન્યુઆરીની પહેલી તારીખે ભણતા કુલ ૮૩ વિદ્યાર્થીમાંથી ૭ પારસી, પાંચ હિંદુ, અને એક મુસ્લિમ હતા. મુંબઈમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ મેળવનારા આ પહેલા દેશી છોકરાઓ. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ દેશી છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી, તેથી આ સ્કૂલમાં એક પણ દેશી છોકરી ભણતી નથી.

૧૮૧૮માં આ સોસાયટીએ એક મહત્ત્વનું પગલું લીધું. તેણે મુંબઈમાં કેવળ ‘દેશી’ છોકરાઓ માટે ત્રણ સ્કૂલ શરૂ કરી – એક મુંબઈના કોટ વિસ્તારમાં, બીજી ગિરગાંવ વિસ્તારમાં, અને ત્રીજી મઝગાંવ વિસ્તારમાં. તેમાંની પહેલી સ્કૂલ ૧૮૧૮ના ઑગસ્ટની ૧૨મી તારીખે શરૂ થઈ ત્યારે તેમાં ૪૦ છોકરાઓ દાખલ થયા હતા. પણ થોડા જ વખતમાં આ સંખ્યા વધીને ૯૦ જેટલી થઈ. ૧૮૧૮ના ડિસેમ્બરમાં શરૂ થયેલી ગિરગાંવની સ્કૂલમાં શરૂઆતમાં ૪૫ અને મઝગાંવની સ્કૂલમાં ૨૦ છોકરા દાખલ થયા. અલબત્ત, આ ત્રણે સ્કૂલોમાં જે દેશી છોકરાઓ ભણતા હતા તેમાંના મોટા ભાગના પારસી હતા. હકીકતમાં જ્યાં જ્યાં દેશીઓ માટેની નવી સ્કૂલો શરૂ થઈ ત્યાં ત્યાં નવી પદ્ધતિનું શિક્ષણ અપનાવવામાં પારસી કોમે પહેલ કરી હતી. ૧૮૧૯ના ચોથા વાર્ષિક અહેવાલમાં આ નવી સ્કૂલો વિષે માહિતી આપવામાં આવી છે. તેની સાથોસાથ જ બે મુશ્કેલીઓનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે. એક, દેશીઓ માટેની સ્કૂલોમાં શીખવી શકે તેવા શિક્ષકોની અછત. અને બીજી, આ સ્કૂલોમાં ભણાવી શકાય તેવાં ગુજરાતી-મરાઠી જેવી દેશી ભાષાઓમાં છાપેલાં પુસ્તકોનો લગભગ અભાવ. તેમાંથી બીજી મુશ્કેલી દૂર કરવાના હેતુથી કલકત્તાની સ્કૂલ બૂક સોસાયટી પાસેથી તેણે તૈયાર કરેલાં પાઠ્યપુસ્તકો મગાવવામાં આવ્યાં. બીજી બાજુ મુંબઈ ઈલાકાના સ્થાનિક લોકોને પણ તેમણે લખેલાં અથવા અનુવાદ કરેલાં પુસ્તકો મોકલવા માટે વિનંતી કરવામાં આવી. કલકત્તાથી કેટલાંક પુસ્તકો આવ્યાં પણ ખરાં, પણ બોમ્બે પ્રેસિડેન્સીની સ્કૂલોમાં કામ લાગે તેવાં તે નહોતાં. સ્થાનિક લોકો તરફથી માત્ર એક જ ગુજરાતી પુસ્તક મળ્યું હતું – મરેના અંગ્રેજી વ્યાકરણની બાવનમી આવૃત્તિનો અરદેશર બહેરામજી લશ્કરીએ કરેલો ગુજરાતી તરજૂમો, જે મુંબઈ સમાચારના છાપખાનામાં છપાયો હતો. એટલે સોસાયટીને લાગ્યું કે ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓમાં નવાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવ્યા સિવાય છૂટકો નથી.

નવાં પુસ્તકો તૈયાર કરાવવાની સોસાયટીના મનની આ મુરાદ મનમાં જ રહી જાત. કારણ, તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ બોમ્બે પ્રેસિડેન્સીના સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઈ ત્યારથી મુંબઈના ગવર્નર તેના પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્યપુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું: પાઠ્યપુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઑગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧૮૮૧ રૂપિયાનાં દાનનાં વચનો મળ્યાં. નવી કમિટીના સંચાલક મંડળમાં ૧૨ અંગ્રેજો ઉપરાંત ૧૨ દેશી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું. તેમાંના ચાર પારસી હતા: ફરામજી કાવસજી, હોરમસજી ધનજી, મુલ્લા ફિરોઝ, જમશેદજી જીજીભાઈ, ચાર હિંદુ હતા: દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, જગન્નાથ શંકરશેઠ, ધાકજી દાદાજી, અને ચાર મુસલમાન હતા: મુંબઈના કાજી, કાજી ગુલામ હુસૈન, મોહમ્મદ અલી રોગે, મોહમ્મદ ઈબ્રાહિમ મકાબા. બે મંત્રીઓ પણ નીમવામાં આવ્યા જેમાંનો એક અંગ્રેજ અને એક હિંદુ હતો. આજે આપણને આ કોઈ બહુ મોટી વાત ન લાગે. પણ એ વખતે બીજા કેટલાક અંગ્રેજ અધિકારીઓએ દેશીઓને સંચાલનમાં સહભાગી બનાવવાના એલ્ફિન્સ્ટનના આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ તેમને બીક હતી કે આ રીતે આજે આંગળી આપીશું તો વખત જતાં દેશીઓ પોંચો પકડશે. પણ એલ્ફિન્સ્ટનનું દૃઢપણે માનવું હતું કે દેશીઓને સાથે રાખ્યા વગર શિક્ષણનું  કામ થઈ શકશે નહિ. ૧૮૨૨ના ઑગસ્ટની ૨૧મી તારીખથી નવી સંસ્થા કમિટીમાંથી સોસાયટી બની અને માતૃસંસ્થાથી અલગ, સ્વતંત્ર રીતે કામ કરતી થઈ. ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં તેણે આટલાં ગુજરાતી પાઠ્યપુસ્તકો પ્રગટ કર્યાં હતાં: (૧) લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડ્વાઈઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સીસ, ૭૮૨ નકલ, રૂ. ૩(૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩(૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૦૦ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઇઝ ઓન ધ મૅનેજમેન્ટ ઓફ સ્કૂલ્સ, ૧૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફ્ટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલો શબ્દકોશ, રૂ. ૧૨ (છેલ્લાં બે પુસ્તક વિદ્યાર્થીઓ માટે નહિ, શિક્ષકો માટે હતાં.) તેવી જ રીતે સોસાયટીએ  પાંચ મરાઠી પાઠ્યપુસ્તકો પણ પ્રગટ કર્યાં હતાં, તે પણ મરાઠી ભાષાનાં પહેલવહેલાં પાઠ્યપુસ્તકો.

૧૮૨૩ના અરસામાં સોસાયટીએ ગુજરાતી અને મરાઠી પાઠ્યપુસ્તકો પ્રગટ કરીને પોતાના કામની શરૂઆત તો કરી દીધી, પણ એ પ્રગટ થતાંવેંત બે અણધારી મુશ્કેલી આવી પડી. છાપેલાં પુસ્તકો અને નવી સ્કૂલો પોતાના પેટ પર પાટું મારશે એ વાત પરંપરાગત નિશાળોમાં ભણાવતા ચતુર બ્રાહ્મણ શિક્ષકો તરત કળી ગયા. ગોરપદું કરનારા બ્રાહ્મણો પણ સમજી ગયા કે વહેલાંમોડા શાસ્ત્રગ્રંથો પણ છપાશે અને તો ધાર્મિક ક્રિયાઓને નામે લોકો પાસેથી મનમાની રકમ પડાવવાનું મુશ્કેલ બનશે. એટલે બ્રાહ્મણોએ લોકોમાં એવી અફવા ફેલાવી કે આ પાઠ્યપુસ્તકો છાપવા માટે વપરાયેલી શાહીમાં પશુની ચરબી ભેળવવામાં આવી છે અને આ પુસ્તકોનો ખરો હેતુ હિન્દુઓને વટલાવવાનો છે. અલબત્ત, આ કેવળ જુઠ્ઠાણું હતું. પણ સરકારે એક જુઠ્ઠાણાનો જવાબ બીજા જુઠ્ઠાણાથી આપ્યો. તેણે જાહેર કર્યું કે આ શાહી તો ગાયનું ઘી વાપરીને બનાવવામાં આવે છે. એટલે બીજો પ્રચાર શરૂ થયો કે આવાં મોંઘાંદાટ પુસ્તકો વેચીને સરકાર લોકોનાં ખિસ્સાં ખાલી કરવા માગે છે. આના જવાબમાં સરકારે આ પુસ્તકો વિદ્યાર્થીઓને વેચવાને બદલે મફત વહેંચવાનું શરૂ કર્યું.

સોસાયટી પાસે જે ભંડોળ હતું તેમાંથી કાંઈ ઝાઝાં પુસ્તકો છાપી શકાય એમ નહોતું. એ માટે સરકારી મદદ મળે તો જ કામ થઈ શકે. આથી સોસાયટીએ સરકાર પાસે આર્થિક મદદ માગી. પણ તેને બદલે સરકારે તો જણાવ્યું કે હવે પછી પુસ્તકો તૈયાર કરાવવા અંગે તથા છાપવા અંગે જે કાંઈ ખર્ચ થાય તે બધો સરકાર ભોગવશે. કયાં પુસ્તકો છાપવાં, કેટલાં છાપવાં, તે સોસાયટી નક્કી કરશે. માત્ર છાપતાં પહેલાં ખર્ચ અંગેનો અંદાજ સરકારને મોકલવાનો. તેને મંજૂરી મળે તેની પણ રાહ જોવાની જરૂર નહિ. શાલેય પાઠ્યપુસ્તકના લેખક કે અનુવાદકને એક સો રૂપિયાથી માંડીને ૪૦૦ રૂપિયા સુધીનું ઇનામ સોસાયટી આપી શકે. વધુ ઊંચા ધોરણની ગુણવત્તા ધરાવતાં પુસ્તકો માટે ઇનામની રકમ પાંચ હજાર રૂપિયા સુધી વધારી શકાય. માત્ર જો કોઈ પુસ્તક પાછળ પાંચ હજાર રૂપિયા કરતાં વધુ ખર્ચ થાય તેમ હોય તો જ તે માટે સરકારની આગોતરી મંજૂરી જરૂરી હતી. આમ ૧૮૨૫માં સરકાર તરફથી સોસાયટીને લગભગ ‘બ્લેન્ક ચેક’ મળ્યો અને પુસ્તક પ્રકાશનના કામે વેગ પકડ્યો. થોડા વખત પછી પુસ્તકો છાપવા માટે ત્રણ લિથોગ્રાફ પ્રેસ પણ સરકારે સોસાયટીને ભેટ આપ્યાં. અલબત્ત, સરકારના આવા ઉદાર વલણ પાછળ કારણભૂત હતી એલ્ફિન્સ્ટનની શિક્ષણ માટેની ઉદાર નીતિ. પણ તેની નીતિનો અમલ કરનાર હતા બીજા એક અંગ્રેજ. તેને વિશેની કેટલીક વાતો હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2019 01:27 PM IST | મુંબઈ | ચલ મન મુંબઈ નગરી - દીપક મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK