મનમોહન સિંહ-રઘુરામ રાજનના કાર્યકાળમાં સરકારી બૅન્કોની દશા બેઠીઃ નિર્મલા
નિર્મલા સિતારમણ
દેશના અર્થતંત્રની ધીમી પડી રહેલી ગતિને લઈને ટીકાઓ સહન કરી રહેલા નાણાપ્રધાન નિર્મલા સિતારમણે હવે તેનો જવાબ આપ્યો છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં એક લેક્ચર દરમ્યાન તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહ અને ભૂતપૂર્વ આરબીઆઈ ગર્વનર રઘુરામ રાજનના કાર્યકાળમાં સરકારી બૅન્કોનો સૌથી ખરાબ સમય આવ્યો હતો.
સિતારમણે કહ્યું હતું કે હું રઘુરામ રાજનની એક મહાન શિક્ષક હોવાના નાતે અને ભૂતપૂર્વ પીએમ હોવાના નાતે મનમોહન સિંહનો બહુ આદર કરું છું. રઘુરામ રાજને એવા સમયે રિઝર્વ બૅન્કની કમાન સંભાળી હતી જ્યારે અર્થતંત્ર સારા દિવસોમાંથી પસાર થઈ રહ્યું હતું. જોકે રાજન અને મનમોહન સિંહના સમયે સરકારી બૅન્કો નેતાઓના ફોન પર જ લોન આપી દેતા હતા. આવી લોનોની ભરપાઈ આજ સુધી થઈ નથી. જેના કારણે હવે બૅન્કોને અત્યારે સરકારે પૈસા આપવા પડી રહ્યા છે. તે વખતે જે થઈ રહ્યું હતું તેની જાણકારી રાજન અને મનમોહન સિંહ સિવાય કોઈની પાસે નહોતી.
ADVERTISEMENT
નાણાપ્રધાને કહ્યું હતું કે રાજન હવે બૅન્કોની સંપત્તિનું મુલ્યાંકન કરી રહ્યા છે, પણ આપણે એ સમજવું રહ્યું કે બૅન્કોના લોન ગોટાળાની શરૂઆત ક્યાંથી થઈ હતી. આજે તો અર્થશાસ્ત્રીઓ અત્યારે શું ચાલી રહ્યું છે તેની વાત કરે છે પણ મારે રાજનની પાસે જાણવું છે કે જ્યારે તેઓ રિઝર્વ બૅન્કના ગર્વનર હતા ત્યારે તેમણે ભારતની બૅન્કો માટે શું કર્યું. આજે બૅન્કોમાં ઈમર્જન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે તે રાતોરાત નથી થઈ.
સિતારમણે કહ્યું હતું કે રાજન કહે છે કે એક વ્યક્તિના નિર્ણય લેવાથી ઇકૉનૉમિની હાલત ખરાબ થઈ રહી છે, પણ તેઓ જ્યારે સરકારમાં હતા ત્યારે સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો હતો. ભારત જેવા દેશમાં એક વ્યક્તિની સત્તા હોય તો કમસે કમ ભ્રષ્ટાચાર તો અટકે છે.