ગોરેગામની સ્કૂલની ફીના મામલે વાલીઓ-મૅનેજમેન્ટ આમને-સામને
વાલીઓના એક જૂથે શુક્રવારે સ્કૂલની બહાર વિરોધ નોંધાવ્યો હતો
સ્કૂલ-ફીની ચુકવણી સંબંધિત વધુ એક બનાવમાં ગોરેગામની યશોધામ સ્કૂલના વહીવટી તંત્ર અને વાલીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. વાલીઓ ઇચ્છે છે કે શાળાનું મૅનેજમેન્ટ ફી ઘટાડે, ત્યારે સરકારે આના વિશે કોઈ હુકમ કરવામાં આવ્યો ન હોવાથી સંબંધિત ઑથોરિટીએ ફી ઘટાડવાનો ઇનકાર કરી દીધો છે. કેટલાક વાલીઓએ શુક્રવારે શાળાની બહાર વિરોધ નોંધાવ્યો હતો.
એક વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘જ્યારે શાળાઓ પ્રચલિત રીત અનુસાર ચાલી નથી રહી તો પછી ફી શા માટે ન ઘટાડવી જોઈએ? અમારામાંથી ઘણા વાલીઓ નાણાકીય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જ્યારે અમુક સેવાઓ તો પૂરી પાડવામાં જ નથી આવી રહી તો અમે શા માટે એ બદલ નાણાં ચૂકવીએ? શાળા ઑનલાઇન વર્ગો લઈ રહી છે. અમારે અમારાં બાળકો ઘરે ભણે એ માટે ગોઠવણ કરવી પડે છે. અત્યારે શાળાની માળખાકીય સુવિધાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી એથી ફીમાં થોડો ઘટાડો કરવો જોઈએ.’
ADVERTISEMENT
તો બીજી તરફ સ્કૂલ ચલાવી રહેલા ગોએન્કા ઍન્ડ અસોસિએટ્સ એજ્યુકેશનલ ટ્રસ્ટ (જીએઈટી)ના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝનાં ચૅરપર્સન સુનીતા ગોએન્કાએ જણાવ્યું કે ‘અમે સમજીએ છીએ કે કેટલાક વાલીઓ વાસ્તવમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને જો તેઓ અમારો સંપર્ક સાધશે તો અમે તેમની સમસ્યા ઉકેલવા તૈયાર છીએ. પણ દરેક માટેનો નિર્ણય વાલીઓનું જૂથ ન લઈ શકે. અમે વાલીઓને હપ્તાવાર ચુકવણી કરવાનો કે મહિને ચુકવણી કરવાનો વિકલ્પ આપ્યો છે. ઘણા વાલીઓએ ફી ચૂકવી દીધી છે અથવા તો તેમણે અમે આપેલો વિકલ્પ અપનાવ્યો છે. વિરોધ નોંધાવી રહેલા વાલીઓએ ફીનો ભાગ પણ નથી ચૂકવ્યો છતાં અમે કોઈ વિદ્યાર્થીને ઑનલાઇન વર્ગો ભરતા અટકાવ્યા નથી.’