જર્મનીના સર્કસે સિંહની પૉટી બરણીમાં ભરીને વેચીને કમાણી શરૂ કરી દીધી
સિંહની પૉટી બરણીમાં ભરીને વેચીને કમાણી શરૂ કરી
ગાયના છાણની ઉપયોગિતાની વાતોની મશ્કરી કરનારાઓએ આ બાબતને ધ્યાનથી વાંચવાની જરૂર છે. ગાય-ભેસોંના પોદળાના ઘરોમાં લીંપણ માટે ઉપયોગ જગજાહેર છે. બકરીની લીંડીઓ અને કબૂતરના ચરકના પણ ક્યાંક દેશી દવાઓમાં વપરાશની વાતો સાંભળી હતી, પરંતુ જંગલી પ્રાણીઓની છીછીના ઉપયોગ વિશે ખાસ કાંઈ સાંભળ્યું નહોતું. કોરોના-ઇન્ફેક્શનના રોગચાળામાં સર્કસ ચાલુ રાખવાની પરવાનગી નથી એથી ઘણા સર્કસવાળાઓએ ટકી રહેવા માટે અવનવા નુસખા-પ્રયોગ શરૂ કર્યા છે. જર્મનીના ક્રોન સર્કસે માન્યામાં ન આવે એવો નુસખો અપનાવ્યો છે. મ્યુનિચના એ સર્કસના સંચાલકોએ એમની માલિકીના સિંહોની છીછી બરણીમાં ભરીને વેચવાનું શરૂ કર્યું છે. ૨૬ વાઘ-સિંહની છીછી રોજ બરણીમાં ભરીને વેચવાનો ક્રોન સર્કસનો નુસખો સોશ્યલ મીડિયા સહિત પ્રસાર માધ્યમોમાં ચર્ચાસ્પદ બન્યો છે. એક બરણી પાંચ યુરો એટલે કે ૩૦૦ રૂપિયાની કિંમતે વેચાય છે. સર્કસના મ્યુનિકના હેડક્વૉર્ટરમાં વેચાણનો સમય સવારે ૧૦થી બપોરે બે વાગ્યા વચ્ચેનો રાખવામાં આવ્યો છે.