હવે દસમાના સ્ટુડન્ટ્સ પણ કરી શકશે સીએનો ફાઉન્ડેશન કૉર્સ
પ્રતીકાત્મક તસવીર
હવે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ સીએના ફાઉન્ડેશનલ કોર્સ માટે અરજી કરી શકશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઇ)એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (સીએ)ના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની જરૂરિયાત માટે સરકાર પાસેથી મંજૂરી મેળવી હોવાનો દાવો કર્યો હતો. નવી આવશ્યકતા અનુસાર, દસમા ધોરણ પાસ કર્યું હોય એવા વિદ્યાર્થીઓ આઇસીએઆઇના ફાઉન્ડેશન અભ્યાસક્રમો માટે અરજી કરી શકે છે. અત્યાર સુધી ૧૨મું ધોરણ પાસ કર્યું હોય, માત્ર તેવા વિદ્યાર્થીઓ જ અભ્યાસક્રમમાં અરજી કરવા માટેની યોગ્યતા ધરાવતા હતા.
આઇસીએઆઇના પ્રેસિડેન્ટ અતુલ કુમારે જણાવ્યું હતું કે, “સંસ્થાએ તાજેતરમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન્સ, ૧૯૮૮ના નિયમ ૨૫-ઇ, ૨૫-એફ અને ૨૮-એફમાં સુધારા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવી લીધી હતી, જેને પગલે હવે ઉમેદવાર ૧૦મા ધોરણની પરીક્ષા પાસ કર્યા બાદ આઇસીએઆઇના ફાઉન્ડેશન કોર્સ માટે અરજી કરી શકે છે. જોકે, ફાઉન્ડેશન કોર્સમાં પ્રોવિઝનલ એડમિશન ઉમેદવાર ૧૨મા ધોરણની પરીક્ષા પાસ કરી લે, ત્યાર પછી જ થશે.”