બીજાને ચોર કહેનારાને જનતાએ સબક શીખવાડ્યો: સીતારમણ
નિર્મલા સીતારમણ
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી બીજાને ચોર કહેવામાં હોશિયાર છે, પણ બીજાને ચોર કહેનારાને જનતાએ જ પાઠ ભણાવ્યો છે, એવો ટોણો મારીને રિઝર્વ બૅન્કે સરકારને આપેલા ભંડોળ બાબતે સવાલ ઊભો કરવો એ ભૂલ છે, એવું કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું હતું.
પુણેમાં આવકવેરા અને જીએસટી અધિકારી સાથે વાતચીત કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન નિર્મલા સીતારમણે રાહુલ ગાંધી પર ટીકાસ્ત્રો છોડ્યાં હતાં. સરકારને કેટલું ભંડોળ આપવું એનો નિર્ણય કરવા માટે આરબીઆઇએ સમિતિને નીમી છે. સમિતિએ બોલાવેલી સાત બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલન આ સમિતિના અધ્યક્ષ હતા. આને કારણે આરબીઆઇએ લીધેલા નિર્ણય પર સવાલ ઊભો કરવો એ ખોટું છે, એવું સીતારમણે જણાવ્યું હતું.
ADVERTISEMENT
આરબીઆઇના નિર્ણય બાબતે સવાલ ઊભો કરવો કે પછી એ બાબતે ચોરી થઈ છે એવું કહેવું યોગ્ય નથી. કૉન્ગ્રેસ તરફથી આરબીઆઇના નિર્ણય પર સવાલ ખડો કરવો એ સદંતર કમનસીબ વાત હોઈ આરબીઆઇની છબીને ખરડાવવી ન જોઈએ, એવું આહવાન પણ તેમણે કર્યું હતું. જોકે બીજી બાજુ આરબીઆઇએ સરકારને આપેલા ભંડોળનો શેના માટે વપરાશ કરવામાં આવશે, એવો સવાલ સીતારમણને પૂછવામાં આવતાં તેમણે એ વાતને ટાળી દીધી હતી.
તેમણે કહ્યું હતું કે આરબીઆઇ દ્વારા આપવામાં આવનારા ભંડોળનો શેના માટે વપરાશ કરવામાં આવશે તે અત્યારે કહી શકાય એમ નથી. એ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, એવું તેમણે કહ્યું હતું.